Get The App

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ 1 - image


Panchmahal News : દાહોદ રોડ પર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં એક પરણિત મહિલાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં આ કેસ ગૂંચવણભર્યો લાગી રહ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 

રહસ્યમય મૃતદેહ અને PM રિપોર્ટનો ખુલાસો

શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી નામની મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. PM રિપોર્ટમાં જે હકીકત સામે આવી તે સ્તબ્ધ કરનારી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે વિદ્યાબેનનું મૃત્યુ કુદરતી નહોતું, પરંતુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ખુલાસાથી કેસમાં નવો વળાંક આવ્યો અને પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી હતી.

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ 2 - image

આડાસંબંધની શંકા અને પારિવારિક ઝઘડા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિદ્યાબેન અને તેમના પતિ સુનિલકુમાર ચંદવાણી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ખટરાગ ચાલી રહ્યો હતો. આ ઝઘડાનું મૂળ કારણ પતિ સુનિલકુમારને તેમની પત્નીના અન્ય પુરુષ સાથેના આડાસંબંધોની શંકા હતી. આ શંકાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા.


હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપી પતિની ધરપકડ

આ મામલે વધુ માહિતી આપતા DYSP એન. વી. પટેલે જણાવ્યું કે, વિદ્યાબેનની હત્યા બાબતે વિદ્યાબેનના નાના બહેન ઉમાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન, 21 જુલાઈના રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, આવેશમાં આવીને પતિ સુનિલે પત્ની વિદ્યાબેનનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો: કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે

પોલીસે આ સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરીને મૃતકના પતિ સુનિલકુમાર ચંદવાણી સામે હત્યાનો ગુનો નોંધી, તેની ધરપકડ કરી છે. આ ઘટનાએ ગોધરામાં ભારે ચકચાર જગાવી છે અને સંબંધોમાં વ્યાપેલી શંકા અને ક્રોધના ભયાવહ પરિણામો ફરી એકવાર સામે લાવ્યા છે.

Tags :