Gujarat

હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ

By GS TEAM
25 Nov 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ હિંમતનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. સિટી સર્વે કચેરીમાં સિટી મેઇન્ટેનન્સ સર્વેયર તરીકે કાર્યરત અને હાલમાં નિવૃત્ત થયેલા વર્ગ-3ના કર્મચારી નલીનભાઈ છોટાલાલ સોની સામે અપ્રમાણસર મિલકત હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACBની પ્રાથમિક તપાસમાં નલીનભાઈ સોનીએ પોતાની કાયદેસરની આવક કરતાં 105.14% જેટલી વધારે સંપત્તિ ગેરકાયદેસર રીતે એકઠી કર્યાનો ખુલાસો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ

Disproportionate Assets Case : રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ હિંમતનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. સિટી સર્વે કચેરીમાં સિટી મેઇન્ટેનન્સ સર્વેયર તરીકે કાર્યરત અને હાલમાં નિવૃત્ત થયેલા વર્ગ-3ના કર્મચારી નલીનભાઈ છોટાલાલ સોની સામે અપ્રમાણસર મિલકત હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACBની પ્રાથમિક તપાસમાં નલીનભાઈ સોનીએ પોતાની કાયદેસરની આવક કરતાં 105.14% જેટલી વધારે સંપત્તિ ગેરકાયદેસર રીતે એકઠી કર્યાનો ખુલાસો થયો છે.

ACB દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ નલીનભાઈ સોનીએ 1 એપ્રિલ 2007થી 31 માર્ચ 2015 દરમિયાન હિંમતનગર સ્થિત DILR કચેરીમાં હેડક્વાર્ટસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ગેરકાયદેસર મિલકત એકઠી કરી હતી. આ આઠ વર્ષના સમયગાળા દરમિયાન સોનીની આવકની તુલનામાં રૂપિયા 46,83,838 જેટલી વધારે સંપત્તિ મળી આવી છે. આ મિલકત માટે તેમની પાસે કોઈ સંતોષકારક કાયદેસર સ્રોત ન હોવાને કારણે ACB દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(ઈ) અને 13(2) હેઠળ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી

તપાસ દરમિયાન એક વધુ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી 24 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. મહેસાણા ACB ટીમે નલીનભાઈ સોની અને તેમની પત્નીના સંયુક્ત નામે હિંમતનગર નાગરિક સહકારી બેંકમાં આવેલી લોકરની તપાસ કરી હતી. લોકરમાંથી કુલ 582 ગ્રામ સોનું અને 285 ગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેમાં 277 ગ્રામ સોનાના દાગીના, 105 ગ્રામ સોનાના બિસ્કિટ અને 285 ગ્રામ ચાંદીનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલ આ કિંમતી ધાતુઓની કુલ બજાર કિંમત રૂ. 48,20,250 આંકવામાં આવી છે. ACB અધિકારીઓએ જણાવ્યું છે કે નલીનભાઈ સોનીએ સેવાકાળ દરમિયાન પદનો દુરુપયોગ કરીને અનિયમિત રીતે નાણાં મેળવનારું નેટવર્ક ઉભું કર્યું હતું.