Get The App

નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી 1 - image
AI IMAGE

Navsari corruption case : ACBએ નવસારી ખાણ ખનીજ વિભાગના તત્કાલીન મદદનીશ ભુસ્તરશાસ્ત્રી અને હાલ નિવૃત્ત અધિકારી સંદિપ મધુકર ખોપકર સામે અપ્રમાણસર મિલકત રાખવાના ગંભીર આક્ષેપોને આધારે ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવકની સરખામણીમાં રૂપિયા 1,02,46,949 જેટલી ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી હતી. ACBની ઊંડાણપૂર્વકની તપાસમાં આ મામલો બહાર આવતા વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ સંદિપ ખોપકર દ્વારા જમા કરેલી આ મિલકત તેમની કુલ આવક કરતાં 62.13% જેટલી વધારે હોવાનું ખૂલ્યું છે. આ ગેરકાયદેસર સંપત્તિ માટે આરોપીએ ફરજ દરમ્યાન પદ અને સત્તાનો દુરુપયોગ કરીને વિવિધ સ્ત્રોતો દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ તેમણે સ્થાવર મિલકતો જેમ કે જમીન, મકાન તેમજ જંગમ મિલકતો જેમ કે વાહનો અને બેંક ખાતામાં જમા રકમ રૂપે કર્યો હતો. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંપત્તિનું કોઈ પણ કાયદેસર સ્ત્રોત મળ્યું નથી, જેનાથી કેસ વધુ ગંભીર બની રહ્યો છે.

આ મુદ્દે સરકારી ફરિયાદી તરીકે નવસારી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે આરોપી સામે કલમ 13(1)(ઇ) તેમજ કલમ 13(1)(બી) અને 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની વધુ કાર્યવાહીમાં વડોદરાના માંજલપુર ખાતે સ્થિત આમ્રપાલી સોસાયટીના બી-71 માં રહેતા સંદિપ મધુકર ખોપકરને ACBએ 24 નવેમ્બર, 2025ના રોજ ધરપકડ કરી છે. ધરપકડ પછી તેમના બેંક ખાતા, મિલકતો તથા આર્થિક લેવડદેવડની વધુ તપાસ કરવામાં આવી રહી છે.