Salangpur Hanuman : બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દેવ દિવાળી અને પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા, ઓર્કિડ, ગુલાબના ફૂલો અને ડાયમંડ જડિત મયૂરાકાર ચાંદીના મુગટથી કષ્ટભંજનદેવને અદભૂત શણગાર કરવામાં આવ્યો છે.
કષ્ટભંજનદેવને અદભૂત શણગાર
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે 05 નવેમ્બર, 2025ના રોજ સાળંગપુરમાં દાદાને અદભૂત શણગાર કરાયો છે.
દાદાને ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો
દાદાને ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે અને દાદાને એલચી અને બદામનો હાર પહેરાવ્યો છે. પૂજારી સ્વામી દ્વારા આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી.
પૂજારી સ્વામીએ કહ્યું કે, 'આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 10 દિવસની મહેનતે 4 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. દાદાનો શણગાર કરતાં 3 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો.'






