ગુજરાતના તમામ અભયારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ પર વન વિભાગે લગાવ્યો પ્રતિબંધ, 15 જૂનથી ચાર મહિના માટે બંધ
Gujarat Wildlife Sanctuaries Closed From 15 June: ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી 15 જૂનથી ચાર માસ માટે એટલે કે 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
વન વિભાગે જાહેરનામા મુજબ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આ ઉપરાંત આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાઓ વધી જાય છે. ત્યારે વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યાનુસાર આગામી 16 ઓક્ટોબર-2025થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહેસૂલ તલાટી-2025ની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ-અરજી કરવાની રીત
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, સાસણ (જૂનાગઢ / ગીર સોમનાથ): એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર (ભાવનગર): કાળિયાર માટે જાણીતું.
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા (નવસારી): ગાઢ જંગલ અને વિવિધ વન્યજીવો માટે જાણીતું.
મરીન નેશનલ પાર્ક, જામનગર (કચ્છનો અખાત): ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે દરિયાઈ જીવસૃષ્ટિ, પરવાળા અને પક્ષીઓ માટે ફેમસ છે.
ગુજરાતના મુખ્ય વન્યજીવ અભયારણ્યો
નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ-સુરેન્દ્રનગર: યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રખ્યાત.
થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા: પક્ષીઓ માટે, ખાસ કરીને ફ્લેમિંગો અને સારસ ક્રેન.
ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રા (કચ્છનું નાનું રણ): ભારતીય ઘુડખર (જંગલી ગધેડો) માટે વિશ્વનું એકમાત્ર નિવાસસ્થાન.
કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય (સુરખાબનગર), કચ્છ: ચિંકારા, વરુ, ફ્લેમિંગો અને અન્ય જળચર પક્ષીઓ.
નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ: ચિંકારા અને અન્ય રણપ્રદેશના પ્રાણીઓ.
કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ: ઘોરાડ પક્ષી (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) માટે.
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય, બનાસકાંઠા: રીંછ, નીલગાય, ઝરખ.
જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા: રીંછ સંરક્ષણ માટે.
ખીજડિયા પક્ષી અભયારણ્ય, જામનગર: વિવિધ પ્રકારના પક્ષીઓ, ખાસ કરીને જળચર પક્ષીઓ.
પોરબંદર પક્ષી અભયારણ્ય, પોરબંદર: સૌથી નાનું પક્ષી અભયારણ્ય, યાયાવર પક્ષીઓ માટે.
બરડા અભયારણ્ય, પોરબંદર: દીપડા, નીલગાય.
હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ: ચિંકારા, વરુ, નીલગાય અને પ્રકૃતિ શિક્ષણ માટે.
પાણિયા અભયારણ્ય, અમરેલી: સિંહ, નીલગાય, દીપડા, ચોસિંગા.
મિતિયાળા વન્યજીવન અભયારણ્ય, અમરેલી: સિંહ અને અન્ય વન્યજીવો.
ગાગા વન્યજીવ અભયારણ્ય, દેવભૂમિ દ્વારકા: ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ.
રામપરા અભયારણ્ય, મોરબી: ચિંકારા, વરુ, નીલગાય.
શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય, નર્મદા: રીંછ, દીપડા, વાંદરા.
જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ: દીપડો, રીંછ, ઝરખ.
પૂર્ણા અભયારણ્ય, ડાંગ: દીપડો, ઝરખ.
રતનમહાલ રીંછ અભયારણ્ય, દાહોદ: રીંછ અને અન્ય વન્યજીવો.