ગુજરાતમાં કોરોનાના 223 એક્ટિવ કેસ, 3 દિવસમાં બમણો વધારો, અમદાવાદમાં સૌથી વધુ
Covid-19 Cases in Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસની ચિંતાજનક ગતિ યથાવત્ રહી છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે. આમ, છેલ્લા 3 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણા જેટલો વધારો થયો છે. રાહતની વાત એ છે કે, 223 પૈકી માત્ર 11 દર્દી જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે.
અમદાવાદમાં કુલ ચાર દર્દીઓ
ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા. જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીઓ હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં અસારવા સિવિલમાં 3 દર્દીઓ છે. જેમાં 44 વર્ષીય પુરુષ, 67 વર્ષીય મહિલા અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું કૌભાંડ : ડૉક્ટરની ધરપકડ, ગેસ્ટ હાઉસ સંચાલક પણ ઝબ્બે
ગુજરાતમાંથી અન્યત્ર રાજકોટ કોર્પોરેશનમાં 23, જામનગર કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો જામનગરમાં 11, સુરતમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 7, કચ્છ-મહેસાણામાં 6-6, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, બનાસકાંઠા-ભાવનગર ગ્રામ્ય-જૂનાગઢ-ખેડામાં 2-2 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે. જેના આધારે તેમને કયો વેરિયન્ટ છે તે ચકાસાય છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટરોના મતે, શંકાસ્પદ લક્ષણ દેખાય તેમણે ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે.