Get The App

ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી, ખુદ અધિક ગૃહ સચિવે કમિશ્નરને પત્ર લખવો પડ્યો

Updated: Dec 31st, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી, ખુદ અધિક ગૃહ સચિવે કમિશ્નરને પત્ર લખવો પડ્યો 1 - image

Gujarat Crime: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવે છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નથી નોંધતી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત સરકારે જ આડકતરી રીતે કબૂલી છે.  

આ પણ વાંચોઃ ક્રાઇમ રેટ ઓછો ગુજરાત પોલીસ સામાન્ય માણસની ફરિયાદ નોંધતી નથી, સરકારે કર્યો સ્વીકાર

ફરિયાદ નહીં નોંધવામાં આવે તો...

તાજેતરમાં SWAGAT (સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય ઍપ્લિકેશન ઑફ ટૅક્નોલૉજી) કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ 27 ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને એસપીને પત્ર લખીને ટકોર કરી છે કે, ‘સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો, તો કડક કાર્યવાહી કરાશે. 

આ પણ વાંચોઃ GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત

તંત્ર સામે ઊભા થયા સવાલો

આ પત્ર જાહેર થયા પછી પ્રશ્ન એ છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય માણસોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર? હવે જોવાનું રહ્યું કે, અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.