Get The App

ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી 1 - image


Richest Minister in Gujarat New Cabinet: ગુજરાતના નવા મંત્રીમંડળની રચના સાથે જ રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક રસપ્રદ પાસાઓ ઉભરી આવ્યા છે. સરેરાશ 55 વર્ષની વય અને 11 કરોડની સરેરાશ સંપત્તિ ધરાવતું આ મંત્રીમંડળ અનુભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ તેની અંદર રહેલી વિવિધતા ગુજરાતના રાજકારણની જટિલતાને પણ દર્શાવે છે.

સૌથી સંપત્તિવાન મંત્રી કોણ? 

સંપત્તિમાં જમીન-આસમાનનો તફાવત આ મંત્રીમંડળમાં એક તરફ કરોડોમાં આળોટતા મંત્રીઓ છે, તો બીજી તરફ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ચહેરાઓ પણ છે. મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય તરીકે રીવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યારબાદ પરષોત્તમ સોલંકી 43.52 કરોડ) અને પ્રફુલ પાનસેરિયા (19.70 કરોડ) જેવા કરોડપતિ મંત્રીઓ છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જયરામ ગામિત (47 લાખ) અને સ્વરૂપસિંહ ઠાકોર (91 લાખ) જેવા મંત્રીઓ પણ છે, જેમની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે. આ આંકડા દર્શાવે છે કે મંત્રીમંડળમાં આર્થિક રીતે ભયંકર અસમાનતા છે, જે ગુજરાતના રાજકારણમાં ધનબળના વધતા પ્રભાવ અને પાયાના કાર્યકરોની ભાગીદારી વચ્ચેના સંતુલનને રજૂ કરે છે.

આ પણ વાંચો: કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી
ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી 2 - image

સૌથી યુવા મંત્રી કોણ?

અનુભવ અને યુવા જોશનો સમન્વય મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે, જે દર્શાવે છે કે સરકાર ચલાવવામાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 74 વર્ષીય કનુ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ સરકારને સ્થિરતા અને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ, રીવાબા જાડેજા (35 વર્ષ) અને  હર્ષ સંઘવી (37 વર્ષ) જેવા યુવા ચહેરાઓ નવી પેઢીની ઉર્જા અને દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ મિશ્રણ સરકાર માટે એક જ સમયે અનુભવનો લાભ લેવા અને ભવિષ્ય માટે નવી નેતાગીરી તૈયાર કરવાની રણનીતિનો સંકેત આપે છે.

કોણ કેટલું ભણેલું

શિક્ષણનું વૈવિધ્યસભર ચિત્ર શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મંત્રીમંડળમાં વિવિધતા જોવા મળે છે. એક તરફ મનીષા વકીલ (PhD) અને પ્રદ્યુમન વાજા (MBBS) જેવા ઉચ્ચ શિક્ષિત મંત્રીઓ છે, તો બીજી તરફ નરેશ પટેલ અને સ્વરૂપસિંહ ઠાકોર જેવા 10 પાસ થયેલા મંત્રીઓ પણ છે. આ દર્શાવે છે કે રાજકારણમાં સફળ થવા માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ જનતા સાથેનું જોડાણ અને રાજકીય કુનેહ પણ એટલી જ મહત્વની છે.

આમ, ગુજરાતનું નવું મંત્રીમંડળ સંપત્તિ, વય અને શિક્ષણના મામલે એક અત્યંત વૈવિધ્યસભર જૂથ છે. આ 'મિની ગુજરાત' સરકાર સામે રાજ્યના વિકાસને આગળ ધપાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર રહેશે. આગામી સમય જ બતાવશે કે આ વિવિધતા સરકાર માટે તાકાત બને છે કે નબળાઈ.

Tags :