ગુજરાત વિધાનસભા વિશેષ સત્ર: વેલમાં આવેલા કોંગ્રેસના સભ્યોને ટીંગાટોળી કરીને લઈ જવાયા
Updated: Sep 21st, 2022
ગાંધીનગર, તા. 21 સપ્ટેમ્બર 2022 બુધવાર
આજથી વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થયુ છે. સત્ર શરૂ થતા જ કોંગ્રેસ ગૃહમાં આક્રમક મૂડમાં જોવા મળી. કોંગ્રેસે ન્યાય આપોના નારાથી વિરોધ શરૂ કર્યો હતો. કોંગ્રેસે માંગણી કરી કે સરકારી કર્મચારીઓને OPS આપવું જોઇએ. સરકાર ઉદાર મન રાખી ને માગ પુરી કરે. અધ્યક્ષે કોંગ્રેસ સભ્યને બેસવાનું સૂચન કર્યું. અધ્યક્ષે કોંગ્રેસ સભ્યને વિનંતી કરી કે બે દિવસીય ટૂંકુ સત્ર છે. ગૃહની ગરિમા જાળવી ગૃહની કાર્યવાહી આગળ ચાલવા દો. સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ છો. લોકશાહીના નિયમ હેઠળ રજુઆત કરી શકો છો. ગૃહની અંદર દેખાવો અને ધરણા કરવા યોગ્ય નથી.
રાજેન્દ્ર ત્રિવેદીએ સભ્યોને વિનંતી કરી કે ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરો. સમયનો ઉપયોગ કરો. બંધારણ હેઠળ ચર્ચા કરો. લોકશાહીનું હનન કોંગ્રેસ કરી રહ્યું છે. ગૃહની ગરિમા જાળવો અને તમામ સભ્યો શાંતિથી બેસો. શૈલેશ પરમારે કહ્યુ કે સરકારને વિનંતી છે કે સરકારના તમામ વિભાગના કર્મચારીઓથી સરકાર ચાલે છે. હાલ આંદોલન ચાલે છે તેની ચર્ચા કેમ ગૃહમાં થઈ ન શકે? કેમ સરકાર ચર્ચા કરવા તૈયાર નથી?
વધુ વાંચો: વિધાનસભાના બે દિવસીય સત્ર પહેલા મળી ભાજપની ધારાસભ્ય દળની બેઠક
રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના જે સભ્યો વેલમાં છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી. કોંગ્રેસના સભ્યોએ ધરણા પ્રદર્શન કરીને વિરોધ કર્યો. સભ્યોને સ્થાન લેવા માટે અધ્યક્ષે વારંવાર ટકોર કરી. ગૃહમાં આજના દિવસ માટે કોંગ્રેસના સભ્યોને ગૃહમાંથી બહાર રહેવાનો પ્રસ્તાવ રખાયો. વેલમાં આવેલા કોંગ્રેસના તમામ સભ્યોને દૂર કરવા સાર્જન્ટને સૂચના અપાઈ અને આજના દિવસે વેલમાં આવેલા કોંગ્રેસ સભ્યો ગૃહમાં આવી શકે નહીં તેમ જણાવાયુ. સાર્જન્ટ કોંગ્રેસના સભ્યોને ટીંગાટોળી કરીને લઈ ગયા.
કોંગ્રેસ પક્ષના 12 ધારાસભ્યો વેલમાં ધસી આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં આવતા પહેલા જ વિરોધ શરૂ કરી દીધો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જઇને વેલમાં આવીને વિરોધ કર્યો હતો. જેના કારણે વેલમાં ઘૂસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.