Get The App

ભાડુઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભાડુઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 1 - image


Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ટેનાન્સી એક્ટ એકટ મુદ્દે મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જે વિવાદિત પ્રશ્નને નિર્ણિત કરવાની સત્તા કાયદા (ટેનાન્સી એક્ટ) હેઠળ રેવન્યુ ઓથોરિટીને બક્ષાયેલી હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટને કોઈ નિર્ણય કરવાની કે આવી બાબત પર અધિકારક્ષેત્ર સંભાળવાની મંજૂરી નથી. સિવિલ કોર્ટે આવી બાબતો વૈધાનિક કાયદાની જોગવાઈ મુજબ, આવા નિર્ણયો રેવન્યુ ઓથોરિટી અથવા મામલતદાર પર છોડી દેવા જોઈએ. જસ્ટિસ નિરલ આર. મહેતાએ મહત્ત્વના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું હતું કે, ટેનાન્સી એક્ટ હેઠળના આવા સંબંધિત વિવાદોમાં જેમાં રેવન્યુ ઓથોરીટી અને મામલતદારને જ નિર્ણય લેવાની સત્તા છે, તેમાં સિવિલ કોર્ટેની કોઈ દરમ્યાનગીરી ન્યાયોચિત નહીં લેખાય.

સિવિલ કોર્ટની સત્તા પર કાયદાકીય બાધ

હાઈકોર્ટે વધુમાં ઠરાવ્યું હતું કે, ટેનન્સી એક્ટ હેઠળ જોડાયેલ પ્રશ્ન કે વિવાદમાં આવા મુદ્દાનો નિર્ણય બોમ્બે ટેનાન્સી એક્ટ હેઠળ રચાયેલ સક્ષમ અધિકારી દ્વારા જ લેવાવો જોઈએ. કલમ 85 હેઠળ આવા મુદ્દાઓમાં નિર્ણય લેવામાં સિવિલ કોર્ટને કાયદાકીય બાધ નડે છે. રેવન્યુ ઓથોરિટી (કૃષિ પંચ)માં ચુનીભાઈ વેરભાઈ પટેલ અને પ્રવીણભાઈ ચુનીભાઈ પટેલના વારસો તથા અન્યો દ્વારા તેઓને ટેનાન્ટને જાહેર કરવા દાદ માંગતી કરેલી અરજી પેન્ડિંગ હતી. તે દરમિયાન સામાવાળા અશ્વિનભાઈ મનુભાઈ પટેલ તથા અન્યો દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સિવિલ સૂટ ફાઇલ કરાયો હતો. જેમાં સિવિલ કોર્ટે રેવન્યુ ઓથોરિટીને નિર્ણય લેવા જણાવ્યું કે, તમે પહેલાં નક્કી કરો કે, મૂળ અરજદાર ટેનાન્ટ છે કે નહી..? અને તે નિર્ણય લેવાય ત્યાં સુધી સિવિલ સૂટ સ્ટે કર્યો હતો. આ હુકમને પડકારતી રિટ અરજી (સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન નંબર-14864/2024) ગુજરાત હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી હતી અને સિવિલ કોર્ટનો હુકમ બહાલ રાખતાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ ટેનાન્સી એકટ મુદ્દે બહુ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતાં આ ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા

હાઇકોર્ટે ચુકાદામાં અવલોકન કરતાં જણાવ્યું કે, ગુજરાત ટેનાન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડસ એક્ટની કલમ-85એ ના સ્પષ્ટ વાંચન અને અર્થઘટન પરથી ફલિતા થાય છે કે, જ્યા સિવિલ દાવો મેન્ટેનેબલ હોય હોય તો પણ આવી સિવિલ કાર્યવાહી દરમિયાન આવા વિવાદી પ્રશ્નનો ઉકેલ લાવવા કે જેમાં ટેનાન્સી એક્ટ હેઠળ સક્ષમ અધિકારી(રેવન્યુ ઓથોરિટી)ને જ સત્તા છે, તો તેમાં સિવિલ કોર્ટની દાવો સ્ટે કરવા માટે વૈધાનિક જવાબદારી બને છે અને આવી પરિસ્થિતિમાં સિવિલ કોર્ટે વિવાદી પ્રશ્નના નિર્ણય અર્થે તેને ટેનાન્સી એક્ટ હેઠળ રચાયેલ સક્ષમ અધિકારી સમક્ષ મોકલવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પણ કોઇ ટેનાન્સી સંબંધિત મુદ્દો પેન્ડિંગ સિવિલ કાર્યવાહીમાં સામે આવે છે. ત્યારે સિવિલ કોર્ટ પોતાની રીતે તે મુદ્દાનું નિર્ણય લઈ શકતી નથી. તેમાં કાયદાની આદેશાત્મક જગવાઇ મુજબ, સિવિલ કોર્ટ દાવામાં આગળની કાર્યવાહી સ્થગિત કરવી જોઈએ ઓથોરિટીના અંતિમ નિર્ણયની રાહ જોવી જોઈએ. 

તો ગુજરાત ટેનાન્સી એક્ટમાં સુધારાનો મૂળ હેતુ માર્યો જાય... 

આ કેસમાં પ્રતિવાદીઓ તરફથી ગુજરાત હાઈકોર્ટનું બહુ અગત્યના કાયદાકીય મુદ્દા પરત્વે ધ્યાન દોરતાં જણાવ્યું કે, ગુજરાત ટેનાન્સી એક્ટ કે જે અગાઉ બોમ્બે ટેનાન્સી એકટ તરીકે પ્રચલિત હતો તેમાં ટેનાન્સી સંબંધિત મુદ્દાના નિર્ણય સંબંધી જોગવાઈ કલમ-85 અને 85એમાં વ્યાખ્યાન્વિત કરાયેલી છે. મૂળ કાયદો 1948નો છે પરંતુ તેમાં કલમ-85એનો સુધારો આઠ વર્ષ પછી 1958માં સંસદ દ્વારા લાગુ કરાયો હતો અને તીને પાછળનો હેતુ એ જ હતો કે, આવા વિવાદીત કેસોનો નિર્ણય કરતી વખતે કોઇ વિસંગતતા કે ત્રુટિ ના રહી જાય. કારણ કે, જો એક વખત સિવિલ કોર્ટ એમ ઠરાવી દે કે, પ્રતિવાદીઓ ટેનાન્ટ નથી અને બીજી બાજુ, રેવન્યુ ઓથોરિટી કે મામલતદાર ટેનાન્સી એક્ટ હેઠળની તેમની સત્તા મુજબ નિર્ણય લઈ ઠરાવે કે, પ્રતિવાદીઓ ટેનાન્ટ છે, તો બંને હુકર્મો અને નિર્ણયોના કારણે ભારે વિરોધાભાસ અને વિસંગતતા જન્મે, જેના કારણે બિનજરૂરી લીટીગેશન્સ પણ વધે. તેથી જ સંસદ દ્વારા કલમ-85એના સુધારા મારફતે આવા વિવાદોના નિર્ણયની વૈધાનિક સત્તા કાયદા હેઠળ રેવન્યુ ઓથોરીટી (ટ્રિબ્યુનલ) અને મામલતદારને બક્ષી હતી.

એક વખત ભાડુઆત સંબંધી મુદ્દો ઊભો થાય એટલે સિવિલ કોર્ટ સ્ટે મૂકવા બંધાયેલી

જસ્ટિસ નિરલ આર.મહેતાએ ગુજરાત ટેનાન્સી એકટની કલમ-85 અને 85એ અર્થઘટનને સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જ્યારે પણ એકવાર ટેનાન્સી સંબંધી વિવાદ કે મુદ્દો ઉદ્ભવે ત્યારે સિવિલ કોર્ટ આવા મુદ્દાઓને આખરી નિર્ણય માટે સક્ષમ ટેનાન્સી ઓથોરીટીને મોકલવા અને દાવાની આગળની કાર્યવાહી પર સ્ટે મૂકવા માટે બંધાયેલી છે. આવા તબક્કે જો સિવિલ કોર્ટ ટેનાન્સી દાવાનો મેરીટ પર કોઈ નિર્ણય કરે તો પણ તે ગુજરાત ટેનાન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ એકટ-1948ની કલમ-85 અને 85-એની સામેનો ગણાય. આમ, સિવિલ કોર્ટે જે નિર્ણય લીધો છે તે કાયદેસર અને યોગ્ય ઠરે છે.