Get The App

અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા 1 - image


Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ AMC દ્વારા ટ્રાફિક પોલીસ સાથે દબાણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરના નરોડા વિસ્તારમાં GEB રોડ પર આવેલા વેજીટેબલ માર્કેટ પાસે દબાણો દૂર કરવાની કામગીરી સમયે પોલીસ અને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વેજીટેબલ માર્કેટની બહાર ઉભા રહીને ધંધો કરતા લારીવાળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા હુમલો કરનારા લોકોનો સામાન ભરી લેવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનામાં 1 પોલીસકર્મીને ઈજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદે દબાણને AMC દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે આજે(22 ડિસેમ્બર) રાત્રે ઉત્તર ઝોનના અસ્ટેટ વિભાગની ટીમ પોલીસને સાથે રાખીને નરોડા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બહારના દબાણ દૂર કરવા પહોંચી હતી. 

આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી

આ દરમિયાન મોટી સંખ્યામાં ટોળુ એકઠું થઈ ગયું હતું. તેવામાં લારીવાળાઓ દ્વારા પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસે પથ્થમારો કરનારા શખસ વિરૂદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.