ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: ગુજરાત હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી (PIL) પર આજે મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટરો દ્વારા વ્યક્તિગત સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. આ સોગંદનામામાં ગીર વિસ્તારમાં ચાલતા હોસ્પિટાલિટી યુનિટ્સમાં વ્યાપક સ્તરે કાયદાકીય ગેરરીતિઓ થતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ટકોર કરી હતી કે, "બફર ઝોનમાં પબ્લિકનો પ્રવેશ પ્રાણીઓ માટે જોખમી છે, તેથી ત્યાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. એશિયાટિક સિંહ આપણું ગૌરવ છે."
યુવક પર સિંહના હુમલા અંગે હાઈકોર્ટની સરકારને સૂચના
અદાલત મિત્ર (એમિકસ ક્યુરી) દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, અમરેલીના રાજુલા તાલુકા પાસે અંદાજે 15 સિંહો વસવાટ કરે છે. તેમણે તાજેતરમાં જ એક ગ્રામવાસી યુવક પર સિંહે કરેલા હુમલાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને વન્યજીવો અને માનવ સંઘર્ષના મુદ્દે વધુ 'સંવેદનશીલ' થવા કડક સૂચના આપી હતી. આ સાથે જ હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે ગીર-સોમનાથ અને જંગલ વિસ્તારમાં પ્રવેશતા દરેક પર્યટક માટે પ્લાસ્ટિક બોટલો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને માત્ર સ્ટીલની બોટલો જ ફરજિયાત કરવી જોઈએ.
કલેક્ટરોના સોગંદનામામાં ખૂલેલી ગેરરીતિઓના આંકડા
હાઈકોર્ટમાં રજૂ થયેલા સરકારી અહેવાલ મુજબ ત્રણેય જિલ્લામાં મોટા પાયે હોસ્પિટાલિટી યુનિટ્સ (રિસોર્ટ, હોટેલ અને હોમ સ્ટે) નિયમો વિરુદ્ધ ચાલતા હોવાનું સામે આવ્યું છે.
અમરેલી જિલ્લાની સ્થિતિ
અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા કુલ 29 હોસ્પિટાલિટી યુનિટ્સની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 3 જ યુનિટ નિયમો મુજબ કાર્યરત હોવાનું સામે આવ્યું છે અને તેમાંથી પણ 1 યુનિટ હાલમાં બિનકાર્યરત છે. જ્યારે બાકીના 25 યુનિટ્સમાં વ્યાપક ખામીઓ મળી આવી હતી, જેમાં 15 યુનિટ્સમાં નાની અને 10 યુનિટ્સમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ નોંધાઈ છે. આ ગંભીર ગેરરીતિઓમાં બિન-કૃષિ (NA) ની મંજૂરી વિના જમીનનો વ્યવસાયિક ઉપયોગ કરવો, વન વિભાગની પરવાનગી વિના પ્રવૃત્તિઓ ચલાવવી તેમજ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાનો સમાવેશ થાય છે. હાલમાં આ તમામ 25 નિયમભંગ કરનારા યુનિટ્સને કારણદર્શક નોટિસો પાઠવવામાં આવી છે.
ગીર-સોમનાથ જિલ્લાની સ્થિતિ
ગીર-સોમનાથ જિલ્લામાં કલેક્ટરના અહેવાલ મુજબ કુલ 308 યુનિટ્સની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી માત્ર 87 યુનિટ્સ જ કાયદાના દાયરામાં રહીને ચાલતા હોવાનું જણાયું છે, જ્યારે 221 યુનિટ્સમાં ગંભીર અને નાની ગેરરીતિઓ મળી આવી છે. આ પૈકી 163 યુનિટ્સમાં નાની ખામીઓ અને 58 યુનિટ્સમાં ગંભીર પ્રકારના નિયમભંગ નોંધાયા છે. તંત્ર દ્વારા આ મામલે કુલ 191 શો-કોઝ નોટિસો ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, અગાઉથી કાયદાકીય કાર્યવાહી હેઠળ લેવાયેલા 28 યુનિટ્સમાંથી 20 હોસ્પિટાલિટી યુનિટ્સને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 8 યુનિટ્સ સામે હાલ કાયદેસરની પ્રક્રિયા ગતિમાં છે.
જૂનાગઢ જિલ્લાની સ્થિતિ
જૂનાગઢ જિલ્લામાં પણ હોટેલ અને રિસોર્ટ્સની તપાસ દરમિયાન મોટા પાયે બેદરકારી સામે આવી છે, જ્યાં કુલ 164 હોસ્પિટાલિટી યુનિટ્સની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં માત્ર 23 યુનિટ્સ જ નિયમોનું પાલન કરતા હોવાનું માલૂમ પડ્યું છે, જ્યારે મોટાભાગના એટલે કે 141 યુનિટ્સમાં સરકારી નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. જેમાં 43 યુનિટ્સમાં નાની ખામીઓ અને રેકોર્ડબ્રેક 98 યુનિટ્સમાં ગંભીર પ્રકારના ઉલ્લંઘનો સામે આવ્યા છે. આ કાનૂની ક્ષતિઓ બદલ તમામ 141 હોસ્પિટાલિટી યુનિટ્સને કારણદર્શક નોટિસો ફટકારીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.









