Get The App

'તમારી દલીલ માન્ય નહીં, ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી...' બલોચ સમાજની અરજી પર ગુજરાત HCમાં સુનાવણી

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
'તમારી દલીલ માન્ય નહીં, ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી...' બલોચ સમાજની અરજી પર ગુજરાત HCમાં સુનાવણી 1 - image


Dhurandhar Dialogue Controversy: તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ધુરંધર'માં બલોચ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમાજની લાગણી દુભાઇ છે. ત્યારે હવે આજે(24 ડિસેમ્બર) બલોચ સમાજની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે કહ્યું કે, તમારી દલીલ અમને માન્ય નથી. ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી. ફિલ્મનો ડાયલોગ કેરેક્ટરનો પર્સનલ ઓપિનિયન છે. જોકે આ મામલે વધુ સુનાવણી આગામી 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે.

'સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન': અરજદાર

અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે વિવાદિત ડાયલોગના સતત પ્રસારણથી પૂર્વગ્રહને અને સામાજિક દુશ્મનાવટને ઉશ્કેરવાનું જોખમ વધી શકે છે, જે જાહેર વ્યવસ્થા અને સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ "ધૂરંધર" 5 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અરજદારનો દાવો છે કે બલોચ સમુદાય વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી વિશે તેમને ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડી હતી.

'ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ કાર્યવાહી કરો'

અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષને ફિલ્મની ફરીવાર સમીક્ષા કરવા અને બંધારણીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપે. જો કે આજે (24 ડિસેમ્બર)ના રોજ થયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે 'તમારી દલીલ અમને માન્ય નથી. ધુરંધર ફિલ્મમાં ભારતની તો વાત થઈ નથી, વધુ સુનાવણી આગામી 9 જાન્યુઆરી, 2026 થશે'

આ પણ વાંચો: 'ફિલ્મ પર પ્રતિબંધ મૂકો...', ‘ધુરંધર’થી જૂનાગઢનો બલોચ સમાજ નારાજ, જાણો શું છે સમગ્ર વિવાદ

કયા ડાયલોગ પર વિવાદ?

'હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.' તાજેતરમાં આદિત્ય ધરના નિર્દેશન હેઠળ રીલીઝ થયેલી 'ધુરંધર' ફિલ્મમાં આ ડાયલોગને લઈ જૂનાગઢ બલોચ મકરાણી સમાજ નારાજ છે. ​ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે એક સંવાદ વખતે આ ડાયલોગ બોલ્યો જેથી બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી. બલોચ સમાજ દ્વારા ખાસ આ ડાયલોગ પર ગુજરાત હાઈકોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું.