દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા
Gujarat High Court On Asaram's bail : ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઇકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. ત્યારબાદ 7 જુલાઈ સુધીના જામીન લંબાવ્યા હતા. જોકે, હવે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી આસારામના જામીન લંબાવ્યા છે.
મળતી માહિતી મુજબ, હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા છે. મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી, ત્યારે હાઇકોર્ટે હંગામી જામીન આપ્યા છે.
આગામી 21 ઑગસ્ટના રોજ વધુ એક સુનાવણી થશે. જામીન માટે હૉસ્પિટલ અને ડૉક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલે સમય માગ્યો હતો.