ભારતના કુલ વેટલેન્ડનો 21 ટકા ભાગ ગુજરાતમાં, 17,613 જળપ્લાવિત વિસ્તાર છે રાજ્યમાં: ISRO
8 National Wetlands in Gujarat : ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં દેશની કુલ 85 રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે છે. જેમાં ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ 17,613 વેટલેન્ડ્સ ઉપલબ્ધ છે. કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના 17.8 ટકાનો સમાવેશ કરે છે.
ગુજરાતમાં કુલ 17,613 વેટલેન્ડ્સ
સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISRO, 2021 દ્વારા ભારતીય વેટલેન્ડ્સના અવકાશ આધારિત અવલોકન મુજબ, ગુજરાતમાં કુલ 17,613 વેટલેન્ડ્સ છે, જે કુલ 3,499,429 હેક્ટર વિસ્તારને આવરી લે છે. તેમાં મુખ્યત્ત્વે અંતરિયાળ-કુદરતી વેટલેન્ડ્સ, અંતરિયાળ-માનવ નિર્મિત વેટલેન્ડ્સ, દરિયાકાંઠાના માનવ નિર્મિત વેટલેન્ડ્સ ઉપરાંત દરિયાકાંઠાના કુદરતી વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મહત્તમ 67 ટકા વિસ્તાર ખાડીઓનો, ત્યારબાદ 46.8 ટકા વિસ્તાર કળણો, 91.6 ટકા સોલ્ટ માર્શ અને 75.5 ટકા વિસ્તાર મીઠાના અગરો ધરાવે છે.
'પ્રોટેકટીંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર'
2જી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં ‘વિશ્વ જળપ્લાવિત દિવસ’ની થીમ 'પ્રોટેકટીંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર' એટલે કે 'આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું રક્ષણ.' આ ઉપરાંત 3 માર્ચને 'વિશ્વ વન્યજીવન દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણી દ્વારા વિશ્વની વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતિ લાવી તેના સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં વિવિધ પ્રવૃતિઓ-અભિયાન ચલાવવામાં આવે છે.
ગુજરાતમાં 8 રાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ આવેલી છે
MoEFCC દ્વારા NWCP પ્રોગ્રામ હેઠળ ભારતમાં કુલ 115 રાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ્સ જાહેર કરવામાં આવી છે. જેમાંથી નળ સરોવર, થોળ તળાવ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નાની કકરાડ, વઢવાણા, ખીજડિયા અને પરીએજ સહિત કુલ 8 રાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ ગુજરાતમાં આવેલી છે. વધુમાં, ગુજરાતમાં 19 વેટલેન્ડ્સ છે જે મહત્ત્વપૂર્ણ પક્ષી અને જૈવવિવિધતા વિસ્તારો તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો: 100 કરોડ ભારતીયોના ખિસ્સા ખાલી, વધારાનો ખર્ચ કરવા માટે રૂપિયા નથી: ચોંકાવનારો અહેવાલ
ભારતની કુલ 85 રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે.