ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર
AI IMAGE |
Government Employees News : નવરાત્રિના પ્રથમ નોરતે જ ગુજરાત સરકારે રાજ્યના લાખો નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મહત્ત્વની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય - આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” (G- કેટેગરી) નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સને રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. જોકે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો અમલ ક્યારથી થશે તે અંગે આરોગ્યમંત્રીએ સ્પષ્ટતા કરી નથી.
આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 303.5 કરોડનો ખર્ચ થશે. આ યોજના રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત સાબિત થશે.
જેના પગલે રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. 10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 303.5 કરોડનો ખર્ચ થશે.
અત્રે નોધનીય છે કે, વર્ષ 2018 થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. જેમાં કુલ 51.27 લાખ દાવાઓ માટે કુલ રૂ. 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ 2708 હોસ્પિટલ (જેમાં 943 – ખાનગી , 1765 – સરકારી) એમ્પેન્લ્ડ છે.જેમાં 2471 પ્રોસિઝરનો લાભ અપાય છે.
વર્ષ 2012 માં રૂ. 30 કરોડની બજેટ જોગવાઇ થી શરૂ થયેલા મા યોજના વર્ષ 2014માં મા–વાત્સલ્ય યોજનામાં પરિણમી હતી. જેમાં વર્ષ 2012 થી વર્ષ 2018 સુધીમાં રૂ. 1179.19 કરોડના ક્લેઇમ ચૂકવણી કરાઇ હતી.
મદદ માટે હેલ્પલાઇન નંબર
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે 079-66440104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ યોજનાથી રાજ્યના લાખો પરિવારોને આરોગ્ય સંબંધી મોટી આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે.