રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Diamond Market: ભારતીય હીરા ઉદ્યોગ અને ખાસ કરીને ગુજરાતના લાખો રત્નકલાકારો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત-અમેરિકા વેપાર કરારથી ભારતના હીરા ઉદ્યોગ અને રત્ન ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થયો છે. બંને દેશો વચ્ચે થયેલી એક મહત્ત્વપૂર્ણ વચગાળાની વ્યાપાર સમજૂતી હેઠળ હવે અમેરિકામાં નિકાસ થતા ભારતના રત્નો અને હીરા પર ઝીરો ટકા ટેરિફ લાગશે. આ જાહેરાત બાદ છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહેલા હીરા બજારોમાં ફરી રોનક આવવાની આશા જાગી છે.
એક વર્ષની મહેનત બાદ મળી મોટી સફળતા
અહેવાલો અનુસાર, શનિવારે (સાતમી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમેરિકાએ આ ઐતિહાસિક સમજૂતીના ફ્રેમવર્ક પર મહોર લગાવી હતી. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'બંને દેશો વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી વાતચીત હવે સફળતામાં પરિણમી છે.'
કેન્દ્રીય મંત્રીના મતે આ કરાર અમેરિકન બજારમાં ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત આપશે. અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા પારસ્પરિક ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે અને અનેક ઉત્પાદનો પર શૂન્ય ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આનાથી રત્નો અને હીરા, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, સ્માર્ટફોન અને મસાલા, ચા, કોફી, નારિયેળ, કાજુ, ફળો અને શાકભાજી જેવા અનેક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો થશે.
ગુજરાતના હીરા ઉદ્યોગને શું થશે ફાયદો?
હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા તમામ હીરા, હીરાના દાગીના અને કિંમતી પથ્થરો પર 0% ટેરિફ લાગશે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં તેમના પર કોઈ ટેક્સ લાગશે નહીં. આનાથી સુરતના હીરા હબ અને જયપુરના રત્ન અને કિંમતી પથ્થરોના હબ બંનેને ઘણો ફાયદો થશે. ગુજરાત, અને ખાસ કરીને સુરત વિશ્વના 80 ટકાથી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે. અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસ દેશ છે.
ટેરિફ ઝીરો થવાથી ભારતીય હીરા અમેરિકામાં સસ્તા થશે, જેનાથી માંગ વધશે. મંદીને કારણે મુશ્કેલી ભોગવતા લાખો રત્નકલાકારો માટે કામના કલાકો અને વેતનમાં સુધારો થશે. અન્ય દેશોની સરખામણીએ ભારતનો હીરા ઉદ્યોગ અમેરિકાના બજારમાં વધુ મજબૂત બનશે. આ સમાચાર વાયુવેગે સુરત અને ભાવનગરના હીરા બજારોમાં પ્રસરતા જ રત્નકલાકારો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.








