ગુજરાતમાં અમે 50 સીટ પણ નથી જીતી શકતા...' પેટાચૂંટણીના પરિણામથી ગુજરાત કોંગ્રેસમાં નિરાશા
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં હાલમાં નિરાશાનો માહોલ છવાયેલો છે. તાજેતરમાં વિસાવદર અને કડી બેઠક પર આવેલા પેટાચૂંટણીના પરિણામોએ આ નિરાશામાં વધારો કર્યો છે, જ્યાં પાર્ટીને બંને બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે, જ્યારે કડી બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે 2017માં કોંગ્રેસે વિસાવદર બેઠક જીતી હતી, પરંતુ તેના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હતા.
77થી 17 પર આવી ગઈ હતી પાર્ટી
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. તાજેતરની પેટા ચૂંટણીના પરિણામો બાદ આ પ્રશ્ન પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યો છે કે હવે આગળ શું થશે?
રાહુલ ગાંધીએ કહ્યું હતું- ગુજરાતમાં ભાજપને હરાવીશું
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની ગર્જના કરી હતી. તેમણે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ ગુજરાતનો પ્રવાસ પણ કર્યો હતો અને તાજેતરમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC) ના અધ્યક્ષોની નિમણૂકો પણ કરી હતી, પરંતુ પેટાચૂંટણીના આ પરિણામો બાદ પાર્ટીના નેતાઓ હતાશ જણાઈ રહ્યા છે.
આ પણ વાંચો: આમ કેમ ભણશે ગુજરાત? એક તરફ પ્રવેશોત્સવ અને બીજી બાજુ સ્કૂલોમાં એક જ શિક્ષક
બંને બેઠકો પર ઘટ્યો વોટ શેર
શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી છે કે પાર્ટીના કહેવા છતાં તેઓ અધ્યક્ષ પદ સંભાળશે નહીં. વિસાવદર બેઠક પર કોંગ્રેસનો વોટ શેર લગભગ 8% જ્યારે કડી બેઠક પર તેના વોટ શેરમાં 4%નો ઘટાડો નોંધાયો છે. આ પરિણામોએ પાર્ટીમાં અનેક નેતાઓને ચિંતિત કરી દીધા છે.
ગુજરાતમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ જણાવ્યું છે કે કોંગ્રેસે આ બે બેઠકો પર જેટલું કામ કરવું જોઈતું હતું તેટલું કર્યું નથી. ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સવાલ ઉઠાવે છે કે પાર્ટીએ DCC ના અધ્યક્ષોની પ્રથમ યાદીમાં કોઈ મુસ્લિમ નેતાને શામેલ કેમ ન કર્યો? તેમનું માનવું છે કે આનાથી ખોટો સંદેશ ગયો હતો, જોકે બાદમાં પાર્ટીએ તેમાં સુધારો કર્યો અને ભરૂચમાં એક મુસ્લિમ નેતાને DCC ના અધ્યક્ષ બનાવ્યા.
આ પણ વાંચો: જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ, 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકામાં ધડબડાટી બોલાવી
શક્તિસિંહ ગોહિલને સંપૂર્ણ આઝાદી ન મળી
પૂર્વ સાંસદનું ‘શક્તિસિંહ ગોહિલએ કહ્યું કે સંપૂર્ણ આઝાદી આપવામાં આવી ન હતી, બધી નિમણૂકો કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. પાર્ટીમાં જૂથવાદને કારણે તેઓ કદાચ કામ કરી શક્યા નહીં હોય.’ એક યુવા નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે DCC અધ્યક્ષોની નિમણૂક પ્રક્રિયામાં જ ખામીઓ છે.
રાહુલની ટિપ્પણીથી નારાજ છે કોંગ્રેસ
એક મહત્વપૂર્ણ વાત એ છે કે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસીઓની તુલના વારંવાર 'લગ્નનાના ઘોડા' અને 'રેસના ઘોડા' સાથે કરવાથી પાર્ટી નેતાઓ સાથે-સાથે તેમના ઘણા વફાદાર સમર્થક પણ નારાજ થઇ ગયા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતા કહે છે કે 'હું દાયકાઓથી કોંગ્રેસમાં છું પરંતુ આ પ્રકારની ટિપ્પણીથી મને ખૂબ ખરાબ લાગે છે.'
50 સીટો પણ જીતી ન શક્યા
કેટલાક યુવા નેતાઓ કહે છે કે, ‘આજે પાર્ટી જે હાલતમાં છે, અમે 50 બેઠકો પણ જીતી શકતા નથી, સરકાર બનાવવાની વાત તો દૂર રહી.’ એક યુવા નેતાએ તો પડકાર ફેંકતા કહ્યું કે, ‘મને એક પણ મોટું નામ જણાવો જે તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયું હોય.’ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ભારે નિરાશા દેખાઈ રહી છે અને આવા સમયે સવાલ એ જ છે કે રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણી સુધી શું પાર્ટીને ભાજપનો મુકાબલો કરવાની સ્થિતિમાં લાવી શકશે?