ગુજરાત કોંગ્રેસ ફરી વિવાદમાં, લંગડા ઘોડાઓને સ્ટાર પ્રચારક બનાવાયા, ચૂંટણી જીતવી પડકારજનક
Gujarat Election 2025: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ થઈ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરી સામે મોરચો માંડ્યો છે ત્યાં અમદાવાદ શહેર પ્રમુખને પણ હાંકી કાઢવા માટે જોરદાર હિલચાલ ચાલી રહી છે. ઉકળતા જૂથવાદ વચ્ચે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે પડકાર સમાન બની છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ નેતાગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે તેનું કારણ છે કે, કોંગ્રેસના લંગડા ઘોડા, ફૂટેલી કારતૂસો અને ભાજપની બી ટીમ ગણાતા નેતાઓને જ પેટા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવી દેવામાં આવ્યા છે, પરિણામે કોંગ્રેસમાં આંતરિક રોષ ભભૂકી ઉઠયો છે.
કોંગ્રેસમાં જૂથવાદ
હવે જૂથવાદની આગને ઠંડી પાડવી અને પેટા ચૂંટણી જીતવી એ કોંગ્રેસ નેતાગીરી માટે પડકાર બન્યો છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે, કોંગ્રેસ આ બંને બેઠકો જીતવા માટે જરા પણ પ્રયત્નશીલ નથી તેનું કારણ છે કે, વિસાવદર એ આપને ફાળે ગયેલી બેઠક છે જ્યારે કડી બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. તે જોતાં કોંગ્રેસને કશું ગુમાવવાનું નથી.
આ પણ વાંચોઃ ગુજરાતના 62 જળાશયોમાં 10% થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50% થી વધુ પાણી
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચર્ચા કરાઈ
આ બાજુ, રવિવારે (8 જૂન) અમદાવાદ ખાતે કોંગ્રેસની પ્રદેશ સમિતિ ખાતે કોંગ્રેસની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા
કોંગ્રેસનો સાયલન્ટ પ્રચાર
ભાજપે જબરદસ્ત પ્રચાર કરી કડી અને વિસાવદર બેઠક જીતવા માટે તૈયારી યાદ રહી છે પણ કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને વિસાવદરમાં નીતિન રાણપરિયા સાયલેન્ટ પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસની જબરદસ્ત સભા હજી સુધી જોવા મળી નથી. કોંગ્રેસનો પ્રચાર માત્ર સોશિયલ મીડિયા પૂરતો સિમિત હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં એવા નેતાઓનો સમાવેશ કરાયો છો જેમણે ગુજરાતમાં કોંગ્રેસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું છે એટલું જ નહીં પણ 77 બેઠકો પરથી 7 બેઠકો પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કાર્યકરોમાં રાહુલ ગાંધીની સ્પષ્ટ સૂચના છતાં પણ કોંગ્રેસના નેતાઓ હજુ પણ ભાજપ સાથે ભળેલા નેતાઓને જ ચૂંટણીલક્ષી કામગીરી સોંપી રહ્યા છે.
આ દરમિયાન, 31 મે સુધીમાં ગુજરાતના નવા સંગઠનના માળખાની જાહેરાત કરવા એલાન કરવામાં આવ્યું હતું પણ હજી સુધી ઠેકાણું પડ્યું નથી.