Gujarat

જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું, સહકાર ક્ષેત્રે 'દબંગાઈ' નડી ગઈ

By GS TEAM
18 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના રાજકારણમાં વગદાર પાટીદાર નેતા જયેશ રાદડિયાને ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મંત્રી તરીકે તેમનું નામ મોખરે ચાલી રહ્યું હોવા છતાં, હાઈકમાન્ડે છેલ્લી ઘડીએ તેમના નામ પર ચોકડી મારી દીધી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, સહકારી ક્ષેત્રે મેન્ડેટ વિના ચૂંટણી લડીને કરેલી 'બગાવત' રાદડિયાને ભારે પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું, સહકાર ક્ષેત્રે 'દબંગાઈ' નડી ગઈ

Gujarat Cabinet: ગુજરાતના રાજકારણમાં વગદાર પાટીદાર નેતા જયેશ રાદડિયાને ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મંત્રી તરીકે તેમનું નામ મોખરે ચાલી રહ્યું હોવા છતાં, હાઈકમાન્ડે છેલ્લી ઘડીએ તેમના નામ પર ચોકડી મારી દીધી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, સહકારી ક્ષેત્રે મેન્ડેટ વિના ચૂંટણી લડીને કરેલી 'બગાવત' રાદડિયાને ભારે પડી છે.

બગાવત જે મંત્રીપદ પર ભારે પડી

જયેશ રાદડિયાએ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો ખુલ્લેઆમ વિરોધ કરીને રીતસર બગાવત કરી હતી. તેમણે સહકારી ક્ષેત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાતા બિપીન ગોતાને મેન્ડેટ વિના ચૂંટણી લડીને હરાવ્યા હતા, જેના કારણે ભાજપને પરાજય વહોરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેમણે દિલીપ સંઘાણીને સાથે રાખી ભાજપ સામે એક ચોકો રચ્યો હતો. થોડા દિવસો અગાઉ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજીને જયેશ રાદડિયાએ ખેડૂતો અને સમર્થકોને એકત્ર કરી રાજકીય તાકતનું પ્રદર્શન કર્યું હતું, જે હાઈકમાન્ડને પસંદ પડ્યું ન હતું.

વિસાવદરની ચૂંટણીમાં ભાજપની કારમી હાર અને ગોપાલ ઇટાલિયાને હરાવવામાં પણ રાદડિયા ઉણા ઉતર્યા હોવાને કારણે હાઈકમાન્ડે આ 'દબંગગીરી'ની ગંભીર નોંધ લીધી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, પાટીદારોને સાચવવાનું લગભગ નક્કી હોવા છતાં, છેલ્લી ઘડીએ તેમના નામ પર કાતર ફેરવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી

સૌરાષ્ટ્રમાં નવી ધરી રચવાનો સંકેત

જયેશ રાદડિયાને પડતા મૂકીને ભાજપ હાઈકમાન્ડે સૌરાષ્ટ્રમાં નવી ધરી રચવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. જીતુ વાઘાણીને પ્રોત્સાહન આપીને હાઈકમાન્ડ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

કાંતિ અમૃતિયાને 'ઇટાલિયા સામે મોરે મોરો'નું ફળ મળ્યું

બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે 'મોરે-મોરો' કરવાનું ફળ મળ્યું છે. મોરબીમાં ખરાબ રસ્તાના મુદ્દે સ્થાનિકોએ હંગામો મચાવતા ગોપાલ ઈટાલિયાએ ઝુકાવ્યું હતું. આ સમયે અમૃતિયાએ વિધાનસભા પ્રાંગણમાં રાજીનામું આપવાનો રાજકીય ડ્રામા સુદ્ધાં કર્યો હતો અને ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ પોલિટિકલ એપિસોડની હાઈકમાન્ડે નોંધ લઈને કાંતિ અમૃતિયાને મંત્રીપદ આપીને તેમનું રાજકીય કદ વધારી દીધું છે.

શપથ સમારોહમાં રમેશ કટારાની નર્વસનેસ

નવા મંત્રીમંડળના શપથ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા નર્વસ જોવા મળ્યા હતા. જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવવાની શરૂઆત કરી ત્યારે 'હું...' કહી અટક્યા હતા. શપથ વખતે 'હું'ના સ્થાને ધારાસભ્યએ પોતાનું નામ બોલવાનું હોય છે, પરંતુ રમેશ કટારાને પોતાનું નામ જ બોલવાનું યાદ ન રહ્યું. રાજ્યપાલે ફરીથી 'અપના અપના નામ બોલો' એમ કહેવું પડ્યું, ત્યાર બાદ રમેશ કટારાએ પોતાનું નામ બોલીને શપથ લીધા હતા.