ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

Gujarat ATS: દેશમાં બાયોટેરર ફેલાવાની પહેલી ઘટના સામે આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ અમદાવાદ અને કલોલ પાસેથી હથિયારોની ખરીદી જાણકારી મળતાં તપાસ હાથ ધરી હતી. જેમાં ATSએ કાર્યવાહી કરીને પાકિસ્તાનથી સંચાલિત એક ખતરનાક જૈવિક આતંક (Bioterror) કાવતરાનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર ઘટનાને પગલે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સી પણ ઍલર્ટ પર છે. હવે આ મામલે ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા રાજ્યની ATS ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATSએ ત્રણ આતંકીઓની કરી ધરપકડ
ગુજરાત ATSએ કલોક પાસેથી ગત રવિવારે (9 નવેમ્બર) ડૉ. અહમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહૈલ સલીમ ખાન નામના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. ત્રણેયની પાસે બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 રાઉન્ડ દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો, સાથે જ રિસિન ઝેર બનાવવા માટે વપરાતાં ચાર લિટર રસાયણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાત ATSએ દાવો કર્યો કે, ત્રણેય આતંકવાદીઓની એક વર્ષથી વધુ સમયથી દેખરેખ કરાઈ રહી હતી. તેમનું લોકેશન સતત ટ્રેસ કરાઈ રહ્યું હતું અને તેની દરેક હરકતો પર નજર હતી. આ ત્રણેય ISISના ખતરનાક વિંગ ISKP(ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ)થી જોડાયેલા બે અલગ અલગ મોડ્યુલનો ભાગ ગણાય રહ્યા છે. ATSને જાણકારી મળી હતી કે, હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે રાજસ્થાન બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા.
સાયનાઇડથી ખતરનાક રાયસિન બનાવવાની તૈયારી
ડૉ. સૈયદ અહેમદનો ખતરનાક ઇરાદો હોવાનો ઘટસ્ફોટ થયો, ચીનમાં તબીબી અભ્યાસ કરનાર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક છે, તે સાયનાઇડથી ખતરનાક ઝેર રાયસિન બનાવી રહ્યો હતો. અધિકારીઓના અનુસાર, આ પદાર્થ સાયનાઇડથી વધુ ઘાતક છે. તેની થોડી માત્રા પણ મોટા પ્રમાણમાં જાનહાનિ કરી શકે છે. આ મોડ્યુલ આ લિક્વિડનો ઉપયોગ કયા પ્રકારે કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે.
દિલ્હી બ્લાસ્ટનું પાકિસ્તાન સાથે કનેક્શન
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ અને તપાસ એજન્સીઓએ ઘણા શંકાસ્પદોની અટકાયત કરી છે. ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, ડૉ. મુઝમ્મિલ અને અન્ય લોકોની પૂછપરછમાં પાકિસ્તાન સાથેના સંબંધો ખુલ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, વિસ્ફોટથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા પુરાવા મળ્યા છે. એજન્સીઓનું માનવું છે કે, ડૉ. મુઝમ્મિલ પાકિસ્તાનના મૌદુદ્દીન ઔરંગઝેબ આલમ, ઉર્ફે અમ્માર અલ્વી સાથે જોડાયેલા હોઈ શકે છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ
સૂત્રોના મુજબ, મોઉદ્દીન ઔરંગઝેબ આલમ, જેને અમ્માર અલ્વી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ છે. હાલમાં ભારતના ઘણા મોટા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં વપરાયેલા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમ્માર અલ્વી જૈશ-એ-મોહમ્મદનો એક સિનિયર કમાન્ડર છે.

