Get The App

VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો 'લાલ', 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો 'લાલ', 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો 1 - image

Ahmedabad News: દેશમાં અત્યારે પશ્ચિમ બંગાળના રાજકારણને લઈને અનેક ચર્ચા અને ખેંચતાણ જોવા મળી રહી છે. ગુજરાત કે ગુજરાતીઓની બંગાળ સાથે રાજકીય મેદાનમાં ભલે ગમે તેટલી ખેંચતાણ હોય, પણ વાત માનવતાની આવે છે ત્યારે ગુજરાત હંમેશા 'મોટું મન' રાખવા જાણીતું છે. બગોદરાના 'મંગલ મંદિર માનવ પરિવાર' આશ્રમે આ વાતને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. 2 વર્ષથી ગુજરાતની ધરતી પર આશરો પામેલા એક બંગાળી યુવકને સન્માનભેર પ્લેન મારફતે તેના વતન મોકલી ગુજરાતીઓએ સાબિત કર્યું છે કે 'સેવા'ને કોઈ સીમાડા કે રાજકારણ નડતું નથી.

ગુજરાત-બંગાળ વચ્ચે પ્રેમનો અતૂટ સેતુ

રાજકીય પટલ પર ગુજરાત અને પશ્ચિમ બંગાળના સંબંધો ભલે ચર્ચાના કેન્દ્રમાં હોય, પણ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા લીંબડી ગામ પાસેથી શ્યામલાલ નામનો એક યુવક અતિ દયનીય અને અર્ધપાગલ જેવી હાલતમાં મળી આવ્યો હતો. શ્યામલાલ માટે ગુજરાત જ તેનું રક્ષક બન્યું હતું. બગોદરાના મંગલ મંદિર માનવ પરિવાર આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયા અને તેમના આશ્રમે શ્યામલાલની 2 વર્ષ સુધી તેનું પ્રેમપૂર્વક જતન કર્યું. અને પછી તેના પરિવારનું સરનામું મળ્યું, ત્યારે તેને વિમાનમાં ઘરે પરત પણ મોકલ્યો.  

પ્લેનની ટિકિટ અને 50,000ની આર્થિક મદદ

આશ્રમ દ્વારા માત્ર શ્યામલાલને પ્લેનની ટિકિટ કરાવીને કોલકાતા મોકલાયો હતો. ગુજરાતના આશ્રમની દિલદારી અહીં પણ અટકી નહોતી. શ્યામલાલના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાનું જાણવા મળતા જ આશ્રમ પરિવારે માનવતાના ધોરણે પરિવારને 50,000 રૂપિયા રોકડા પણ આપ્યા હતા. આ મદદ એ વાતની સાક્ષી છે કે ગુજરાત હંમેશા આપત્તિમાં આખા દેશની પડખે ઊભું રહે છે.

આ પણ વાંચો: છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી

માતાના આંસુમાં દેખાયો આશ્રમ અને ગુજરાત પ્રત્યેનો આભાર

શ્યામલાલ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે દ્રશ્યો અત્યંત ભાવુક હતા. 2 વર્ષથી જે પુત્રની કોઈ ભાળ નહોતી, તેને અચાનક નજર સમક્ષ જીવતો જાગતો જોઈ માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પુત્ર પણ માતાને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. પરિવારે કલ્પના પણ નહોતી કરી કે તેમનો લાલ આટલી દૂર ગુજરાતથી સુરક્ષિત પાછો આવશે. આ જોઈ માતાની આંખમાં જે હરખના આંસુ હતા, તે કદાચ કોઈ પણ રાજકીય વિજય કરતા ઘણાં મોટા હતા. બંગાળી પરિવારે હાથ જોડીને ગુજરાતની આ ધરતી અને આશ્રમના લોકોનો આભાર માન્યો હતો.

બગોદરાના આ 'મંગલ મંદિર' આશ્રમે સાબિત કર્યું છે કે ભલે દેશના બે છેડે બે અલગ રાજ્ય, બે અલગ વિચાર કે રાજકીય પ્રતિસ્પર્ધા હોય, પણ માનવતાનો તાર તો એક જ છે.