સરકારની સૂચનાથી જીપીસીબીએ સુરત ડાયમંડ બુર્સ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી
Surat News: સુરત જિલ્લના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામમાં બ્લોક નં. 177-પીમાં માર્ચ 2018માં હાથ ધરેલા સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના 8 સંચાલકોએ પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમનો ભંગ કર્યો હતો. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમના ભંગ બદલ આઠ વર્ષ પહેલાં સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કરેલી ફોજદારી ફરિયાદ સરકારની સુચનાથી ફરિયાદી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીએ વિથ ડ્રો પુરસીસથી 31મી મેના રોજ પરત ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે.
જાણો શું છે સમગ્ર મામલો
સુરતના રીંગરોડ બેલ્જીયમ સ્કવેર સ્થિત ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરીના ફરિયાદી રીજીયોનલ ઓફિસર એમ.એસ.ડસાણી, એસ.એચ.વૈજ્જનાપુરકરે 16-3-2018ના રોજ ચોર્યાસી તાલુકાના ખજોદ ગામના બ્લોક નં. 177-પીમાં આવેલા સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સ્થળ તપાસ કરી હતી. સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના સંચાલક મહેશ ગઢવીને મળીને જીપીસીબીના અધિકારીઓએ ઈ.પી.એક્ટની કલમ-10 હેઠળ નોટીસ આપીને સ્થળ તપાસ કરી હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સના સંચાલકો દ્વારા સરકાર પાસેથી એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું (EC) નહોતુ. આ અંગે બોર્ડના અધિકારીઓ દ્વારા જવાબદાર વ્યક્તિ પાસેથી ઈસી માંગતા તેઓ બતાવી શક્યા નહોતા.
જીપીસીબીના અધિકારીઓએ સુરત ડાયમંડ બુર્સના કર્તાહકર્તા પાસેથી ઈસી ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી, ટોટલ પ્લોટ એરિયા, બિલ્ટઅપ એરિયા, બાંધકામ શરૂ કરવાની તારીખ, ડિરેક્ટર્સના નામ, સરનામા સહિતની વિગતો રજુ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જમીનનું વળતર ઓછું મળતા ખેડૂતે હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ, હરિયાણાની વિચિત્ર ઘટના
જેના અનુસંધાને પ્રોજેક્ટના સંચાલકો દ્વારા પ્રોજેક્ટને બિલ્ટઅપ એરીયા 83,372.68૬૮ ચો.મી.નો દર્શાવ્યો હતો. વધુમાં આ પ્રોજેક્ટ એન્વિરોન્મેન્ટલ ઈમ્પેક્ટ એસેસર્સમેન્ટ (EIA) નોટિફિકેશન 14-9-2006ના શિડ્યુલ-8માં આવતો હોવાનું તથા એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હોવાનું જણાવ્યું હતુ. પરંતુ ઈસી સર્ટિફિકેટ મળે તે પહેલાં લેન્ડ પ્રિપેરેશન તથા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતુ. જેથી જીપીસીબીના રીજીયોનલ અધિકારીએ સુરત ડાયમંડ બુર્સ તથા આઠ સંચાલકો સામે 21-5-2018ના રોજ ભારત સરકારના પર્યાવરણ અને વનમંત્રાલયના નોટિફિકેશનના ભંગ બદલ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 ની કલમ-15 સાથે કલમ 16 અને 19 હેઠળ સુરત ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
અલબત્ત ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લાં સાત વર્ષો સુધી આરોપી સંચાલકો સામે પ્રોસેસ ઈસ્યુનો સ્ટેજ દર્શાવવામાં આવ્યો હતો. દરમિયાન 14-5-2025ના રોજ સુરત જિલ્લા કલેકટરના પત્રથી સરકારની સુચના મુજબ સુરત ડાયમંડ બુર્સનુ સંચાલકો સામેના પ્રદૂષણ નિયંત્રણ દ્વારા પર્યાવરણ (સુરક્ષા)અધિનિયમની જોગવાઈ હેઠળ સુરત ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરેલા ફોજદારી કેસને પરત ખેંચવા જણાવવામાં આવ્યું હતુ. જેથી 31-5-2025ના રોજ જીપીસીબીએ સુરત ડાયમંડ બુર્સ સામે 8 વર્ષ પહેલાં કરેલા ફોજદારી ફરિયાદ પોતે આગળ ચલાવવા માંગતા ન હોઈ આંક-54 હેઠળ વીથ ડ્રો પુરસીસ રજુ કરી લોક અદાલતમાં ફરિયાદ ફેંસલ કરવામાં આવી છે.