Get The App

જમીનનું વળતર ઓછું મળતા ખેડૂતે હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ, હરિયાણાની વિચિત્ર ઘટના

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
જમીનનું વળતર ઓછું મળતા ખેડૂતે હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ, હરિયાણાની વિચિત્ર ઘટના 1 - image


Chandigarh Farmer News : હરિયાણાના એક સ્ટેટ હાઇવે પર ખેડૂતે દીવાલનું બાંધકામ શરૂ કરી દીધું છે. જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવું પડયું અને લોેકોને ખેતરમાંથી થઇને બહાર નીકળવાની ફરજ પડી હતી. 

આ કેસ કુરુક્ષેત્રથી પહોવાને જોડતા સ્ટેટ હાઇવેનો છે. ખેડૂત બલવિંદર સિંહે અને તેમના પરિવારે સ્ટેટ હાઇવે પર દીવાલનું બાંધકામ શરૂ કરી દીધું છે. વાહનચાલકો આ વિસ્તારમાં પહોંચ્યા તો ખબર પડી કે સ્ટેટ હાઇવે બંધ છે અને ત્યાં મજૂર દીવાલ બનાવી રહ્યાં છે. 

દીવાલ બનાવવાનું કામ શરૂ કરનાર લોકોએ યાત્રીઓને જણાવ્યું હતું કે આ જમીન અમારી છે અને જો તમારે આગળ જવું હોય તો ખેતરમાંથી થઇને જવું પડશે. મોટી સંખ્યામાં બાઇક અને અન્ય વાહન ખેતરમાંથી થઇને પસાર થયા. જો કે ભારે વાહનો ત્યાં જ ઉભા રહ્યાં જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ અધિકારીઓએ બલવિંદર અને પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે રસ્તો બંધ ન કરે. તો બલવિંદરે જણાવ્યું હતું કે આ જમીન અમારી છે અને સરકાર વળતર આપે.જો વળતર નહીં મળે તો અમે અમારી જમીન પર કબજો કરી લઇશું.

પોલીસે પહોવા પોલીસ સ્ટેશનમાં બલવિંદર સિંહના પાંચ લોકો અને કેટલાક અજ્ઞાતની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ લોક નિર્માણ વિભાગના એસડીઓની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે. 

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્રને કોઇ માહિતી આપ્યા વગર જ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાથી લોકોની મુશ્કેલી વધી ગઇ છે. અનેક વાર વિનંતી છતાં રસ્તો ખોલવામાં આવ્યો ન હતો. 

આ કેસમાં અત્યાર સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. કોર્ટે 2013માં જણાવ્યું હતું કે સરકાર જમીન પરત કરે અથવા વળતર આપે. જો કે સરકારે વળતર ન ચૂકવતા અરજકર્તાએ ફરી વખત 2018માં કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ સરકારે 5.5  લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું પણ બલવિંદર સિંહના જણાવ્યા અનુસાર આ રકમ ખૂબ જ ઓછી છે. 

Tags :