અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સરકારે આકરૂ વલણ અપનાવ્યું છે. ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે યોજાયેલી બેઠકમાં સરકારે તેને આકરા શબ્દોમાં બે પાલન કરવા નિર્દેશ આપ્યો છે. પહેલું સુરક્ષા પર સીધી અસર કરતી ટોચની એરલાઈન એર ઈન્ડિયા ડિપાર્ટમેન્ટમાં બેકસીટ ડ્રાઈવિંગના કલ્ચરને તાત્કાલિક ધોરણે ખતમ કરવામાં આવે અને બીજું ટોચના વિભાગોમાં ઉચ્ચ પદ પર બેઠેલા લોકોને નિર્ણય લેવાનો હક આપવામાં આવે.
એર ઈન્ડિયામાં હજી પણ મોટાભાગના નિર્ણયો માલિકો અને એર ઈન્ડિયાના ચેરમેન દ્વારા જ લેવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારે ટાટા સન્સની આકરી ઝાટકણી કરતાં એરઈન્ડિયાને સૂચન કર્યું છે કે, તેઓ ટોચના વિભાગોમાં ઉચ્ચ પદો પર રહેલા અધિકારીઓ નિર્ણય લેવાનો અધિકાર આપે, તેમના પર માત્ર ભૂલો-ખામીઓનો દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. ઘણા કિસ્સામાં નિર્ણયો અન્ય દ્વારા લેવામાં આવી રહ્યા છે. જ્યારે સીટ પર કોઈ અન્ય વ્યક્તિ બેઠી હોય છે. આ વ્યવસ્થા અત્યંત ખરાબ છે. તેને તાત્કાલિક ધોરણે બંધ કરવા આદેશ આપ્યો છે.
પદ કોઈ બીજા પાસે, અને નિર્ણય અન્યના હાથમાં
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ, સચિવ સમીર કુમાર સિંહા અને ડીજીસીએ પ્રમુખ ફૈઝ અહમદ કિદવઈએ શુક્રવારે ચંદ્રશેખરન સાથે બેઠક કરી હતી. જેમાં સુરક્ષામાં સુધારાના ઉકેલો પર ચર્ચા થઈ હતી. એન. ચંદ્રશેખરને સરકારના નિર્ણયો સાથે સહમતિ દર્શાવી હતી. આ બેઠક સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, સિક્યોરિટી, ટ્રેનિંગ, મેઈનટેનન્સ, એન્જિનિયરિંગ અને એકીકૃત સંચાલન નિયંત્રણ કેન્દ્ર (આઈઓસીસી) જેવા અમુક વિભાગ સમગ્ર સંચાલન અને સુરક્ષિત બનવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં અમુક વિભાગોમાં વિરોધાભાસની સ્થિતિ જોવા મળી છે. જ્યાં પદ પર અન્ય કોઈ બિરાજમાન છે, અને નિર્ણય લેવાની સત્તા અન્ય પાસે છે. આ સમસ્યાનો ઉકેલ જરૂરી છે. એન. ચંદ્રશેખરને આ મુદ્દે સહમતિ દર્શાવી છે, અપેક્ષા છે કે, તેઓ ઝડપથી સુધારો લાવશે.
ત્રણ દિવસ સુધી ઉચ્ચ સ્તરીય ચર્ચા થઈ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અવારનવાર એર ઈન્ડિયાના પ્લેનમાં ખામી અને સર્જાઈ રહેલી નાની-મોટી દુર્ઘટનાઓ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય સીઈઓ કેમ્પબેલ વિલ્સનના નેતૃત્વ હેઠળ એર ઇન્ડિયા મેનેજમેન્ટ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી રહ્યું છે. આ મામલે ત્રણ દિવસ સુધી ઉચ્ચ સ્તરીય ચર્ચા થઈ હતી. 21 જૂનના રોજ ડીજીસીએએ ક્રૂ શેડ્યૂલિંગના હવાલામાં રહેલા એઆઈના ત્રણ અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ચેતવણી આપી હતી કે જો ક્રૂ શેડ્યૂલિંગમાં ખામીઓ ચાલુ રહેશે, તો તે એર ઇન્ડિયાને બંધ કરવા સુધીનો નિર્ણય લઈ શકે છે.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનોના પાર્ટ્સ સાચવવાનું બંધ કરો
કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું હતું કે, એરલાઈન પોતાની ગુરૂગ્રામ ઓફિસમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનોના પાર્ટ્સ રાખી શકશે નહીં. આ ઓફિસમાં સીટ, ઉપકરણો અને ફ્લાઈટ ડેટા રેકોર્ડરનું પ્રદર્શન કરે છે. તેનો ઉદ્દેશ સુરક્ષાની જરૂરિયાતને યાદ અપાવવાનું છે. પરંતુ મોટી સંખ્યામાં કર્મચારી તેને નાપસંદ કરી રહ્યા છે.