Get The App

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ 1 - image


Girnar Gorakhnath Murti Vandalism: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખસો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક જૂનાગઢ કલેક્ટરને ફોન કરીને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, નાથ સંપ્રદાય સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી હતી અને આરોપીઓને પકડવા માટે તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મહંતે નોંધાવી ફરિયાદ, LCBને તપાસ સોંપાઈ

મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ સાધુ-સંતો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોરખનાથ મંદિરના મહંત યોગી સોમનાથજી ગુરૂ રાજનાથજીએ ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં જ એસ.પી. સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. હાલમાં આ કેસની તપાસ LCB પીઆઈને સોંપવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો સીસીટીવી કેમેરાના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી.

આ પણ વાંચો: જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાયા

નૂતન મૂર્તિની સ્થાપના

મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત થવાના બનાવ બાદ સાધુ-સંતો અને વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. કચ્છમાં આવેલા આશ્રમમાંથી તાબડતોબ ગોરખનાથજીની નૂતન મૂર્તિ મંગાવવામાં આવી હતી. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે કામચલાઉ ધોરણે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આગામી સમયમાં વિધિવત રીતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે યજ્ઞ અને અન્ય વિધિઓનું આયોજન કરવામાં આવશે.

આ પવિત્ર સ્થળ પર થયેલા હીન કૃત્યના કારણે ધાર્મિક લાગણી દુભાઈ છે અને લોકો આરોપીઓ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.


Tags :