જૂનાગઢમાં બાબા ગોરખનાથની મૂર્તિ ખંડિત કરનારા ઝડપાયા, બે આરોપીની ધરપકડ

Girnar Gorakhnath Murti Vandalism: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત મામલે સાધુ-સંતો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોરખનાથ મંદિરના મહંત યોગી સોમનાથજી ગુરૂ રાજનાથજીએ ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂર્તિ ખંડિત કરનારા બે આરોપીની ધરપકડ
જૂનાગઢમાં ગત 5 ઓક્ટોબર, 2025ની રાત્રે ગોરખનાથ શિખર પરના મંદિરમાં મૂર્તિ ખંડિત કરાઈ હોવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 324(4), 329(3), 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસની 10 ટીમ દ્વારા જૂનાગઢ શહેર મળીને કુલ 156 જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે આજે સોમવારે (13 ઓક્ટોબર) બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ગોરખનાખ મંદિર ખાતે ફોટોગ્રાફર રમેશભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (ઉં.વ.50, રહે. જૂનાગઢ) અને મંદિરમાં પગારદાર તરીકે કામ કરતા કિશોર શીવનદાસ કુકરેજા સીંધી (ઉં.વ.42 રહે, મહારાષ્ટ્ર)એ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરી હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ
શું હતી ઘટના?
ગિરનાર ગોરખનાથ મંદિરમાં તોડફોડ મામલે શેરનાથ બાપુએ જણાવ્યું કે, ગિરનાર પર 5500 પગથિયા ઉફર ગિરનાર ગોરખનાથનું મંદિર આવેલું છે. રવિવારે (5 ઓક્ટોબર) વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં મૂર્તિ તોડનાર અસામાજિક તત્ત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ, જ્યારે ઘોંઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 માણસો તેમણે ભાગતા જોયા હતા.