સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત આગવું સ્થાન મેળવનારા સુરત શહેરમાં જ કેટલીક જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની વાસ્તવિકતા ચિંતાજનક બની રહી છે. શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના સલાબતપુરા વિસ્તારમાં આવેલી પાલિકાની ડીકેએમ હોસ્પિટલ નજીક છેલ્લા આશરે 15 દિવસથી રસ્તા પર કચરાનો ઉકરડો પડ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની સેવા પણ નિયમિત ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પરિણામે જાહેર માર્ગ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.
ચોમાસાની ઋતુ નજીક આવતાં મચ્છરજન્ય અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. જોકે, માત્ર પાલિકા તંત્રને જ જવાબદાર ઠેરવવા સાથે કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા પણ જાહેર સ્થળોએ કચરો ફેંકવાની વૃત્તિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્વચ્છ સુરતનું ગૌરવ જાળવવા માટે પાલિકાએ કચરા ઉપાડવાની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની સાથે નાગરિકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી બની છે. અન્યથા સ્વચ્છતાના દાવાઓ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે તે પાલીકા અને લોકો બંને માટે ચિંતાજનક છે.









