Gujarat

ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના

By GS TEAM
23 Jun 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ સેક્ટર-7ના હેડ કોન્સ્ટેબલના આપઘાત બાદ સર્જાયેલી આ બીજી ઘટનાએ પોલીસ કર્મચારીઓ પર રહેલા અતિશય કાર્યભાર અને માનસિક તણાવના ગંભીર મુદ્દાને ફરી એકવાર ચર્ચાના એરણે લાવી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ સેક્ટર-7ના હેડ કોન્સ્ટેબલના આપઘાત બાદ સર્જાયેલી આ બીજી ઘટનાએ પોલીસ કર્મચારીઓ પર રહેલા અતિશય કાર્યભાર અને માનસિક તણાવના ગંભીર મુદ્દાને ફરી એકવાર ચર્ચાના એરણે લાવી દીધો છે.

પત્ની બહાર ગઈ અને એકલતાનો લાભ લઈ પગલું ભર્યું

મળતી માહિતી અનુસાર, મૂળ મહેસાણાના વતની અને છેલ્લા બે વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળ (LRD) તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પર્વ ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પત્ની અને એક નાના પુત્ર સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે તેમના પત્ની કોઈ કામ અર્થે થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, ત્યારે એકલતાનો લાભ લઈ પર્વએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

પત્ની જ્યારે પરત ફરી ત્યારે પતિને આ હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ માણસા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી પગલાં પાછળ પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર

ગાંધીનગરમાં છ મહિનામાં બીજી ઘટના

ગાંધીનગર જિલ્લામાં પોલીસ જવાનો દ્વારા આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પણ પેથાપુરમાં પોતાના ઘરે આ જ રીતે ગળેફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો હતો. આ આઘાત હજુ શમ્યો નથી ત્યાં વધુ એક યુવા આશાસ્પદ પોલીસકર્મીના મોતના સમાચારથી પોલીસ પરિવાર શોકગ્રસ્ત બન્યો છે.

પોલીસ વિભાગમાં વધતો તણાવ અને સુધારાની માંગ

આ સતત બની રહેલી ઘટનાઓને પગલે પોલીસ તંત્રની કાર્યશૈલી અને જવાનોની માનસિક સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી ઘટનાઓ પાછળ પોલીસ વિભાગનો અતિશય કાર્યભાર, સતત ફરજ, વીઆઈપી બંદોબસ્તનું દબાણ અને તહેવારોમાં પણ પરિવારથી દૂર રહેવાની મજબૂરી મુખ્ય કારણો પ્રજામાં ચર્ચાનું કારણ બન્યા છે.

શારીરિક અને માનસિક રીતે ભાંગી પડતા પોલીસ કર્મચારીઓ માટે વિભાગમાં કોઈ માનસિક સ્વાસ્થ્ય કે નૈતિક સપોર્ટ આપતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ખાનગીમાં તણાવ અનુભવતા જવાનો પોતાની સમસ્યાઓ વ્યક્ત ન કરી શકવાના કારણે ડિપ્રેશનનો ભોગ બને છે અને આવા આત્મઘાતી નિર્ણયો લે છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા હવે પોલીસ બેડામાં તાત્કાલિક મેન્ટલ હેલ્થ કાઉન્સિલિંગ સેન્ટર્સ શરૂ કરવા અત્યંત અનિવાર્ય બની ગયા છે.