Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે (23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.
ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવી કરી હતી મારામારી-ફાયરિંગ
આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023 માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર એવો આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરીને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો પણ તેમની સામે સાબિત થયા છે. આ વિવાદાસ્પદ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા અને ટ્રાયલ બાદ કોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
સરકારી વકીલ: ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો દોષિત જાહેર
આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, 'આ કેસ વર્ષ 2023 માં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.'
ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં
ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઈકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.


