પુલ તૂટયાના ત્રણ દિવસ બાદ આરોગ્ય મંત્રીની મુલાકાત, પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટી પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gambhira Bridge Tragedy: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનાના 3 દિવસ બાદ શુક્રવારે રાજ્યના આરોગ્ય મંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે, આ બ્રિજનો પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
30 દિવસમાં તપાસ સમિતિ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરશે
આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે કહ્યું હતું કે, 30 દિવસમાં કમિટિ બ્રિજ તૂટી પડવા પાછળના કારણો સાથેનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ઘ્યાનમાં આવેલી બેદરકારીના આધારે માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. હજી પણ જે કાર્યવાહી કરવી પડે તે કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, બ્રિજ દુર્ઘટના બાદ શોધખોળની કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે અને હતભાગીઓના મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરાયા છે.
આ પણ વાંચો: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું
પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન એટલે શું?
બ્રિજના પિલરો પર એક પછી એક ગડર બેસાડીને પુલ બનાવાતો હોય છે.દરેક ગર્ડરને પિલરની ઉપર તરફના હિસ્સા પર એક બેરિંગ બેસાડીને તેના પર ફિટ કરાતો હોય છે. આ હિસ્સાને પેડેસ્ટ્રલ કહેવામાં આવે છે.જ્યારે બે ગર્ડર વચ્ચેનો સાંધો આર્ટિક્યુલેશન તરીકે પણ ઓળખાય છે.









