'GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોરોને પણ અન્યાય થાય છે', પૂર્વ MLA બળદેવજી ઠાકોરનો આક્ષેપ
Allegations of injustice in GPSC interview : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં GPSCના ઇન્ટરવ્યુમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોર સમાજના ઉમેદવારોને પણ અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી છે. અગાઉ થોડા દિવસ પહેલા અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને GPSCના ઇન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.
GPSC ભરતી પ્રક્રિયા સવાલોના ઘેરામાં આવી છે, ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આક્ષેપ કર્યા હતા કે, 'GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોરોને પણ અન્યાય થાય છે.' આ સાથે તેમણે શેર કરેલા ફોટોમાં GPSCની ક્લાસ 1-2ની ભરતીને લઈને ઇન્ટરવ્યુમાં ઠાકોર ઉમેદાવારોને ઓછા ગુણ આપવામાં આવતા હોવાના દાવો કર્યો છે.
આ પણ વાંચો: શિક્ષકો માટે શાળા પસંદગી પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવાઈ, જાણો ફોર્મ ભરવાની રીત
જ્યારે ગત 5 મે, 2025ના રોજ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ' GPSCની ક્લાસ 1-2ની ભરતી પ્રક્રિયામાં મૌખિક ઇન્ટરવ્યુમાં કોઈ ખાસ સમુદાયને જ લાભો પહોંચાડવા અને કોઈ ખાસ સમુદાયના જ યુવાનોને નુકસાન પહોંચાડવા માટેનો જ કારસો રચવામાં આવે છે. જ્યારે તાજેતરના ક્લાસ 1-2ના ઇન્ટરવ્યુના પરિણામ જોતાં જે યુવાનોના લેખિતમાં ગુણ વધારો હોય, પરંતુ રુબરુ મુલાકાતમાં તેઓને ખૂબ જ ઓછા નહિવત ગુણ આપી સિસ્ટમથી બહાર કરવા માટેનું એક સુનિયોજિત આયોજન મુજબનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ જણાય છે.'