VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Patel Viral Video: અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક આવેલી સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનનું સમારકામ ચાલી રહ્યું હોવાથી આજે (24 જૂન) વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાના ડાયવર્ઝન અને સાંકડા માર્ગને કારણે સવારથી જ વાહનોની ગતિ થંભી ગઈ હતી, જેના લીધે સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ચિક્કાર જામમાં હજારો સામાન્ય નાગરિકો પોતાના વાહનો સાથે કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મહા ટ્રાફિક જામ છતાં પોલીસની ગેરહાજરીથી નીતિન પટેલ ગુસ્સે ભરાયા
આ મહા ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી. અન્ય નાગરિકોની જેમ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા બાદ તેમણે નોંધ્યું કે, આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં હાઈવે પર વાહનોનું સંચાલન કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસ જવાન હાજર ન હતો. રસ્તા પર પોલીસની આ પ્રકારની ઘોર ગેરહાજરી અને વહીવટી અવ્યવસ્થા જોઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અકળાઈ ગયા હતા.
'મોદી સાહેબ એકતરફ પેટ્રોલ-ડીઝલ બચાવવાની બૂમો પાડે છે અને તમે..'
ટ્રાફિકમાંથી માંડ-માંડ બહાર નીકળ્યા પછી નીતિન પટેલ સીધા જ કલોલ નાયબ પોલીસ અધિક્ષક (DySP)ની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી વચ્ચે તેમણે હાજર પોલીસ સ્ટાફનો બરાબરનો ઉધડો લીધો હતો. તેમણે ઉગ્ર રોષ સાથે સવાલ કર્યો હતો કે, આટલી વિકટ સ્થિતિ છતાં પોલીસ કેમ નિષ્ક્રિય છે અને પ્રજાની હેરાનગતિ કેમ દેખાતી નથી? કચેરીની બહાર નીકળતી વખતે તેમણે વડાપ્રધાનના અભિયાનનો ઉલ્લેખ કરતા રોષે ભરાઈને કહ્યું કે,'મોદી સાહેબ એકતરફ પેટ્રોલ-ડીઝલ બચાવવાની બૂમો પાડે છે, ત્યારે શું આ રીતે ઇંધણનો બગાડ કરીને પેટ્રોલ-ડીઝલ બચાવવાનું, હું તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી?'
પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ કડક વલણ અને રોષે ભરાયેલા રૂપને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે આ સમગ્ર બેદરકારી અંગે જિલ્લા પોલીસ વડા (SP)ને કડક શબ્દોમાં મૌખિક અને લેખિત ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી. નીતિન પટેલના આકરા પ્રહાર બાદ સફાળી જાગેલી કલોલ પોલીસે તાત્કાલિક હાઈવે પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ અગાઉથી યોગ્ય આયોજન ન કરવા બદલ પોલીસના કામકાજ પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.









