Gujarat

વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલપંપ પાસે બે કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી

By GS TEAM
15 Jan 20262 mins read
TukuTouch Logo
વડોદરાના રેસકોર્સમાં મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલપંપ પાસે બે કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી

Vadodara News : વડોદરાના રેસકોર્સમાં મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. 

વડોદરાના મોલમાં ભીષણ આગ

મળતી માહિતી મુજબ, વડોદરાના નટુભાઈ સર્કલ પાસે આવેલા સિનેમોલમાં આજે(15 જાન્યુઆરી) બપોરે લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડ દ્વારા મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો.

મેજર કોલ જાહેર કરાતા 6 ફાયર ફાયટર ઘટનાસ્થળે

આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગનું સ્વરૂપ જોતાં જવાનોએ તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ડેપ્યુટી ચીફ ફાયર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મેજર કોલ જાહેર કરીને 6 ફાયર ફાઈટરની ટીમો તમામ એંગલથી કામે લગાવી હતી. 

મોટી જાનહાનિ ટળી 

આગ લાગેલા મોલની બાજુમાં પેટ્રોલપંપ આવેલો હતો. જેમાં પેટ્રોલપંપ અને મોલની દિવાલ વચ્ચે બે કાર સળગી હતી. નજીકમાં જ પેટ્રોલપંપ હોવાથી આગના બનાવથી 30 ફૂટ દૂર એક પેટ્રોલ ભરેલું ટેન્કર પાર્ક કરેલું હતું. આગની ઘટનાને પગલે ફાયરની ટીમ સતત પાણીનો મારો ચાલું રાખ્યો હતો. આમ, ફાયર બ્રિગેડ દ્વારા પેટ્રોલપંપ બંધ કરાવી ટેન્કર ખસેડવા કહેવાયું હતું. પરંતુ ડ્રાઇવર ન  હોવાથી ફાયર બ્રિગેડના વડીવાડીના જવાને ટેન્કર ચલાવીને અન્ય સ્થળે ખસેડતાં મોટી દુર્ઘટના ટળી હતી. 

પોલીસે રસ્તો બંધ કરાવ્યો, એક કલાકે કાબૂમાં

સમગ્ર ઘટનાને પગલે પોલીસે નટુભાઈ સર્કલ રોડ પર અવરજવર સદંતર બંધ કરાવી દીધી હતી. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાકની જહેમત બાદ પાણી અને ફોમનો મારો ચલાવી આંગને કાબૂમાં લીધી હતી. વાસી ઉત્તરાયણ હોવાથી મોલની દુકાનો અને ઓફિસો લગભગ બંધ હતી. જે ઓફિસ ચાલુ હતી તેમાંથી પણ લોકો નીકળી ગયા હોવાથી ફાયર બ્રિગેડને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી ન હતી.

આ પણ વાંચો: વડોદરા: નમસ્યની દીવાલ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ધડાકાભેર તૂટી પડવાના મુદ્દે બિલ્ડરની ધોલાઈ કરી

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પેટ્રોલપંપ પાસે એક કારમાં આગ લાગ્યા બાદ તેના તણખા ઉડવાને કારણે મોલની ઉપરના ભાગે એસીના આઉટડોર યુનિટો અને દીવાલનો ભાગ આગમાં લપટાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ફાયરની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.