અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી લાયબ્રેરી સામે આવેલી સરકારી વસાહતમાં આજે સાંજે આશરે 17:38 કલાકે 8મા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાન માલિક તરુણભાઈના ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠ્યાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગે તાત્કાલિક રવાના થઈ ઝડપી કામગીરી હાથ ધરી હતી.
સ્થળ પર એક વોટર બાઉઝર (20 KL), એક ફાયર ફાઇટર, ચાર ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો) અને એક H.P.L. સહિત કુલ 7 ફાયર વાહનો મોકલવામાં આવ્યા હતા. કુલ 28 જેટલા અધિકારી અને જવાનોની ટીમે સુમેળપૂર્ણ આયોજન સાથે રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગને ઝડપથી કાબૂમાં લઈ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
આ સમગ્ર ઘટનામાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે 10 વર્ષની નાની બાળકી ‘વિશ્વા’ આગ લાગેલી ઈમારતમાં ફસાઈ ગઈ હતી. ધુમાડા અને ગભરાટભરી પરિસ્થિતિ વચ્ચે ફાયર જવાનો બહાદુરીપૂર્વક ઉપર પહોંચી બાળકીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેને સહીસલામત બહાર લાવ્યા હતા. સમયસરની આ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને આસપાસના રહેવાસીઓએ પણ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 50 હજાર જેટલું માલમત્તાનું નુકસાન નોંધાયું છે. સદનસીબે કોઈ જાનહાની કે ઇજાની ઘટના બની નથી. વીમા અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી.








