નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નેશનલ હાઈવે નંબર 56ને ફોર લેન બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, ધામસિયાથી ગોધામ વચ્ચે રોડની સાઈડમાં બનાવવામાં આવી રહેલી પ્રોટેક્શન વોલ ખેડૂતો માટે મુસીબત બની છે. ખેતરમાં જવાના રસ્તાઓ બંધ થઈ જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
900 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ
મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના ધામસિયાથી જબુગામ સુધી આશરે 900 કરોડ રૂપિયાના ખર્ચે હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે ખેડૂતોની જમીનોનું સંપાદન પણ કરવામાં આવ્યું છે. હાલમાં ધામસિયાથી ગોધામ સુધી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે, પરંતુ આ દીવાલને કારણે ખેતરોમાં જવાના વર્ષો જૂના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
આ પણ વાંચો: હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડીયા ગામે 15 શખસોના ટોળાએ યુવકની હત્યા કરી
એક તરફ કેનાલ, બીજી તરફ વોલ
ખેડૂતોનું કહેવું છે કે, ખેતરના એક છેડે કેનાલ આવેલી છે અને હવે બીજી તરફ નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ આવી ગઈ છે. ખેતરમાં ટ્રેક્ટર કે અન્ય ખેતીવાડીના સાધનો લઈ જવા માટે હવે કોઈ જગ્યા બચી નથી. ખેતીનો પકવેલો પાક બજાર સુધી કેવી રીતે પહોંચાડવો તે મોટો સવાલ ઊભો થયો છે. માલ-ઢોરને ખેતર સુધી લઈ જવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
રસ્તો આપવા ખેડૂતોની માગ
સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, 'અમે વિકાસના કામ માટે અમારી કિંમતી જમીનો આપી છે, પરંતુ તંત્રએ અમારા પાયાના રસ્તાનો વિચાર કર્યો નથી.' ખેડૂતોએ માગણી કરી છે કે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરે અને પ્રોટેક્શન વોલની વચ્ચે ખેતરોમાં અવરજવર માટે યોગ્ય રસ્તો ફાળવે, જેથી તેમનું ગુજરાન ચલાવવામાં અવરોધ ન આવે.








