દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 ST બસો દોડાવાશે, વતન જવા માટે ગૃપ બુકિંગ પણ કરાવી શકાશે
Surat News : ગુજરાત એસટી નિગમ દ્વારા આગામી દિવાળીના તહેવારમાં સુરતથી એક્સ્ટ્રા 1600 બસ દોડાવાશે. જેને લઈને રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, 'આગામી 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની વધારાની બસ મૂકાશે. લોકો પોતાના વતન જવા માટે ગૃપ બુકિંગ પણ કરાવી શકશે.'
દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 ST બસો દોડાવાશે
વાહનવ્યહાર મંત્રીએ જણાવ્યું હતું કે, 'દિવાળીમાં સુરતમાંથી હજારો લોકો પોતાના વતન જતાં હોય છે. જેને લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિતના વિવિધ સ્થળોએ 1600 જેટલી વધારાની બસ દોડાવાશે. જેનું સંચાલન સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી થશે.'
સુરત એસટી નિગમ હેઠળ અડાજણ બસ પોર્ટ, ઉધના બસ સ્ટેશન, કામરેજ, કડોદરા બસ સ્ટેશન સહિતના સ્ટેશનો પર બુકિંગ થશે. જ્યારે એસટીની સત્તાવાર વેબસાઈટ પરથી પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે.
ક્યાંથી ઉપડશે બસો
આ વધારાની બસો અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે સુરત સેન્ટ્રલ સ્ટેશનથી, સૌરાષ્ટ્ર માટે રામચોક, મોટા વરાછાથી અને દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ જવા માટે સુરત સિટી બસ સ્ટેશનથી બસો મળી રહેશે.