અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી
Representative image |
Indigo Flight Emergency Landing in Ahmedabad: અમદાવાદમાં વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ સુરતથી દુબઈ જઈ રહી હતી. જો કે, મધદરિયે તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાતા પાઈલટે સમયસૂચકતા દાખવીને ફ્લાઇટને પાછી વાળીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો.
ફ્લાઈટમાં 150થી વધુ મુસાફરો હતા
મળતી માહિતી અનુસાર, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. પરતુ ફ્લાઈટમાં મધદરિયે એક એન્જિનના અચાનક થામી સર્જાઈ હતી. પાયલટને આ ખામીની જાણ થતાં તેણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.
મુસાફરો માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરી
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી રહી છે અને એન્જિનમાં ખામીનું કારણ શોધવામાં આવી રહ્યું છે. બીજી તરફ મુસાફરોને દુબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી વિમાન બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ મુસાફરોને લઈ પ્રસ્થાન કર્યું. નોંધનીય છે કે, પાયલટના આ નિર્ણયને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે પહેલાથી જ લોકોના મનમાં આજે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.