સુનિતા વિલિયમ્સની વાપસી પર ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ, પિતરાઇ ભાઇએ કહ્યું; 'તે દુનિયા બદલી દેશે...'
Sunita Williams Return : ભારતીય મૂળના અને મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામની વતની તેમજ અમેરિકામાં રહેતા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષની સફરથી નવ મહિના બાદ પરત ફર્યા છે. હેમખેમ પરત આવે તે માટે વતનના ઝુલાસણ ગામમાં લોકોએ પ્રાર્થનાઓ કરી હતી અને 108 લધુરૂદ્ર અને શિવયજ્ઞ કર્યા છે.
અંતરિક્ષની સફરે ગયેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી કર્મચારી સતત નવ મહિના સુધી અંતરિક્ષમાં અટવાઈ પડ્યા હતા. ત્યારે હવે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી છે. સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામમાં ઝુલાસણમાં પણ હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે તે પરત ફરી, તો અમે ખુશીથી ઉછળી પડ્યા: સુનિતા વિલિયમ્સના પિતરાઇ ભાઇ દિનેશ રાવલ
9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતાં પિતરાઇ ભાઇ દિનેશ રાવલે કહ્યું કે 'જ્યારે તે પરત ફરી, તો અમે ખુશીથી ઉછળી... હું ખુબ ખુશ હતો... કાલ સુધી મારા દિલમાં બેચેનીની ભાવના હતા... ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને સુનીને સુરક્ષિત પરત લઇ આવ્યા...સુનિતા કોઇ સાધારણ વ્યક્તિ નથી... તે દુનિયા બદલી દેશે...'
આ પણ વાંચો: પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન, જુઓ રોમાંચક લેન્ડિંગનો VIDEO
ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવના પુજારી અજયભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે જ્યારથી અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં ફસાયા છે, ત્યારથી તેઓ હેમખેમ પરત આવે તે માટે 108 લઘુરુદ્ર અને શિવયજ્ઞ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી અત્યાર સુધી 71 જેટલા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમ જ દર સોમવારે રાત્રે બે કલાક શિવધૂન પણ કરવામાં આવી રહી છે. આમ તેમના પરત ફરવા માટે ગામમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
યુનિયન મિનિસ્ટર જિતેન્દ્ર સિંઘે કહ્યું કે, સુનિતા વિલિયમ્સે, ભારતની દીકરી તરીકે સમગ્ર વિશ્વને ગર્વ અપાવ્યું છે. તેને જે કામ સોંપવામાં આવ્યું હતું, તે સફળતાપૂર્વક તેણે પૂર્ણ કર્યું છે. આજે સમગ્ર વિશ્વ તેઓ સુરક્ષિત પરત ફરે તે માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણને તેના પર ગર્વ છે.
સુનિતા વિલિયમ્સને આવકારવાં મદુરાઈ શહેરની એક સ્કૂલમાં પણ બાળકોએ વિવિધ વૈજ્ઞાનિકોના મહોરાં પહેરી સુનિતા વિલિયમ્સને આવકારી હતી અને ઓનલાઈન માઘ્યમથી તમામ અપડેટ લીધી હતી. આ સાથે જ, તેઓ હેમખેમ પાછા આવી જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.
ઝુલાસણ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાશે
સુનિતા વિલિયમ્સના પરત ફરવા પર ભારત સહિત વિશ્વના ખૂણે-ખૂણે ઉજવણીનું આયોજન કરાયું છે. ક્યાંક પૂજા તો ક્યાંક સભાઓ યોજી ભારતની દીકરી સુરક્ષિત પરત ફરે તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યારે હવે તેઓ સુરક્ષિત પરત આવતાં તેમના વતન ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઝુલાસણ ગામમાં ઠેર-ઠેર દિવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ફટાકડાં ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.