કલેક્ટરને આવેદન આપીને રજૂઆત
ફૂલે દંપતીને 'ભારતરત્ન' આપવો એ અતિ પછાત, શોષિત વર્ગને ન્યાય આપવા સમાન : માળી સમાજ
ખેડા જિલ્લા માળી સમાજ દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને કચડાયેલા વર્ગને ન્યાય અપાવવા માટે સમપત કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરૂ માન્યા હતા. સ્ત્રી શિક્ષણના પાયા નાખતા સાવિત્રીબાઈ ફૂલેએ મહિલાઓ માટે ૧૭થી વધુ શાળાઓ શરૂ કરી હતી અને 'કાવ્ય ફૂલે' જેવો પ્રથમ કાવ્યસંગ્રહ આપી સાહિત્ય ક્ષેત્રે પણ યોગદાન પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે બાળહત્યા નિષેધ ગૃહ અને મહિલા, અનાથ આશ્રમ જેવી સંસ્થાઓ સ્થાપી સામાજિક સુધારણાના કાર્યો કર્યા હતા. ગુજરાત માળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ફૂલે દંપતીને 'ભારતરત્ન' આપવો એ માત્ર માળી સમાજ નહીં, પરંતુ દેશના અતિ પછાત અને શોષિત વર્ગને સાચા અર્થમાં ન્યાય આપવા સમાન ગણાશે. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા મથકે માલી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે તેમજ સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર 'ભારતરત્ન' સન્માન આપવાની માગણી કરતું કલેક્ટરને આવેદનપત્ર આપવાની ઝુંબેશ ચાલી રહી છે, જે મુજબ ખેડા જિલ્લા માળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


