Get The App

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી 1 - image

Ahmedabad Airport: શુક્રવારે (7 નવેમ્બર) દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતાં હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ સમસ્યાને કારણે દિલ્હી ઍરપોર્ટ પર લગભગ 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેનાથી દેશભરના હવાઈ વ્યવહાર પર મોટી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડતાં ઍરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ખામીનું કારણ અને ઍરપોર્ટની એડવાઇઝરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ATC સિસ્ટમમાં આવેલી આ સમસ્યાનું કારણ ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ(AMSS)માં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ (AMS) માટે જરૂરી માહિતી પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી, ફ્લાઈટ્સની અવર-જવરને અસર

દિલ્હી ઍરપોર્ટે (DIAL) એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, 'ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે.' મુસાફરોને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ જાણવા માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવી હતી.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(AAI) એ કહ્યું કે, ટેક્નિકલ ટીમો શક્ય તેટલી ઝડપથી સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી?

અમદાવાદ અને અમૃતસરની ફ્લાઇટ્સ પર ગંભીર અસર:

દિલ્હી આવતી-જતી ફ્લાઇટ્સ પર ગંભીર અસર જોવા મળી હતી, જેમાં અમદાવાદ અને અમૃતસર ઍરપોર્ટની ફ્લાઇટ્સ પણ સામેલ છે:

ઍરપોર્ટફ્લાઇટ નંબરએરલાઇનવિલંબ
અમદાવાદSG 8193સ્માર્ટવિંગ્સ3 કલાકથી વધુ
AI 2959એર ઇન્ડિયાઅઢી કલાકથી વધુ
બોઇંગ 2033ઇન્ડિગોબે કલાકથી વધુ
QP 1334અકાસા એરદોઢ કલાકથી વધુ
2715એર ઇન્ડિયામોડી
અમૃતસરAI1884એર ઇન્ડિયા5 કલાક મોડી
6E2506ઇન્ડિગો1 કલાક મોડી
AI496એર ઇન્ડિયા1.15 કલાક મોડી
6E6848ઇન્ડિગો2 કલાક મોડી
AI492એર ઇન્ડિયાઅડધો કલાક મોડી


એરલાઇન્સ દ્વારા ચેતવણી:

ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને અકાસા એર સહિતની તમામ એરલાઇન્સે પુષ્ટિ કરી હતી કે, ATC સમસ્યાના કારણે તેમની ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. સ્પાઇસજેટે મુસાફરોને વિશેષ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં ATCની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પછીની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. એર ઇન્ડિયાએ પણ જણાવ્યું કે, આ ટેક્નિકલ સમસ્યાને કારણે મુસાફરોને ઍરપોર્ટ પર અને વિમાનમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.