આહવા સબ જેલમાંથી બે રીઢા કેદીઓ ફરાર, પેટમાં દુખે છેનું બહાનું કાઢી જેલ કર્મીને ધક્કો માર્યો, વ્યવસ્થા સામે ગંભીર સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dang News: ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતેની સબ જેલમાંથી પોક્સો અને હત્યા જેવા જઘન્ય ગુનાના બે રીઢા કેદીઓ ફરાર થઈ જતાં સરકારી તંત્રની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઊડી ગયા છે. આ ઘટના માત્ર બે કેદીઓના ભાગી જવાની નથી, પરંતુ જેલ પ્રશાસનની ઘોર બેદરકારી અને શૂન્ય સુરક્ષા વ્યવસ્થાનો જીવતો જાગતો પુરાવો છે. ગંભીર ગુનાના કેદીઓ જેલના સ્ટાફને સામાન્ય ધક્કો મારીને આસાનીથી નાસી છૂટે, તે વાત જ સુરક્ષાના તમામ દાવાઓ સામે મોટા સવાલો ઊભા કરે છે.
પેટમાં દુખાવાનું બહાનું કાઢી બે આરોપીઓ ભાગ્યા
સૌથી મોટો અને ગંભીર સવાલ જેલના મુખ્ય દરવાજાની સુરક્ષા સામે ઊઠે છે. ઘટના ગતરોજ ગુરુવારની રાત્રે ઘટી હતી. રાત્રિના સમયે જ્યારે સંવેદનશીલ જેલના તમામ દરવાજા ચુસ્તપણે બંધ હોવા જોઈએ, ત્યારે મેન ગેટ પર તાળું જ મારેલું ન હતું! કેદીઓએ પેટમાં દુખાવાનું માત્ર એક બહાનું કાઢ્યું અને જેલ સ્ટાફે કોઈ પણ આગોતરા વિચાર વિના બેરેકનું લોક ખોલી નાખ્યું. ધક્કો મારીને આરોપીઓ ફરાર થઈ ગયા, જેલ પ્રશાસનની આ કેવી આંધળી વ્યવસ્થા છે કે જ્યાં કટોકટીના સમયે ગાર્ડ્સ પાસે કેદીઓને કાબૂમાં રાખવાની કોઈ વૈકલ્પિક યોજના કે તૈયારી જ ન હતી?
જેલ પ્રશાસનની ગંભીર બેદરકારી
વર્ષ 2023થી જેલમાં બંધ પોક્સોનો આરોપી ગિરીશ બાગુલ અને વર્ષ 2025થી બંધ હત્યાનો આરોપી જેલના કર્મીઓને હંફાવીને ભાગી જવામાં સફળ રહ્યા, તે સમગ્ર પોલીસ તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. જેલની ચાર દીવાલો વચ્ચે સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે, તેવા ફરજ પરના કર્મચારીઓની આ પ્રકારની ગંભીર નિષ્કાળજી શું કોઈ મોટી મિલીભગત તરફ ઈશારો કરે છે? ઇન્ચાર્જ જેલરે માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની જવાબદારીમાંથી પલ્લું ઝાડી લીધું હોય તેવું લાગી રહ્યું છે. જેલના બે બેરેક અને બે જેલ ગાર્ડ વિરુદ્ધ પણ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળીને અને નાકાબંધી કરીને દોડધામ કરી રહી છે, પરંતુ સવાલ એ થાય છે કે આવી લોલમલોલ સુરક્ષાનું શું? ગુનો આચર્યા બાદ જે કેદીઓને માંડ જેલ ભેગા કરાયા હતા, તે હવે ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે, જેનાથી સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આ ઘટના બાદ શું બેદરકાર અધિકારીઓ સામે માત્ર કાગળ પરની કાર્યવાહી થશે કે પછી જેલના સુરક્ષા માળખામાં કોઈ નક્કર સુધારા કરવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય છે.








