જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Cyber Fraud Case: જામનગરના એક નાગરિકનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી સાયબર ઠગોની ગેંગ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરાવી આપવાની અને ખૂબ ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. લાલચમાં આવી ફરિયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 25,86,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 319(2), 61(2) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી ઝડપાયો
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેક્નિકલ વિગતોનું વિશ્લેષણ કરી તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરી તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલી ગેંગના એક આરોપી રવિ રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉંમર 27 વર્ષ), રહે. સંસેર ગામ, તાલુકો રેલમંગરા, જિલ્લો રાજસમંદ, રાજસ્થાનને તેના વતન રાજસ્થાનમાંથી શોધી, ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ જામનગર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ, ક્રિપ્ટો, ઓનલાઈન ટ્રેડિંગ અથવા વધુ નફાની લાલચ આપતી જાહેરાતોથી સાવચેત રહેવું. અજાણી લિંક અથવા એ.પી.કે. ફાઈલ ડાઉનલોડ કરવી નહીં, તેમજ બેંકિંગ, યૂ.પી.આઈ. અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરવો. કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક એકાઉન્ટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, યૂ.પી.આઈ. અથવા ઓ.ટી.પી. સંબંધિત માહિતી અજાણી વ્યક્તિ સાથે શેર કરવી નહીં. જો કોઈપણ પ્રકારની ઓનલાઈન આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.








