સુરતમાં પાણીની ખાલી બોટલ આપી ગ્રાહક 1 રૂપિયો પાછો મેળવી શકશે
- જોકે, બોટલ જ્યાંથી ખરીદી હશે ત્યાં જ ખાલી બોટલ આપવાની રહેશેઃ પેક્ડ ડ્રીન્કીંગ વોટર મેન્યુફેક્ચર એસો.ના નેજા હેઠળ અભિયાન
- પ્લાસ્ટીક મુક્ત સુરત માટે કવાયત
Updated: Sep 3rd, 2019
સુરત મ્યુનિ.ના પ્લાસ્ટીક ફ્રી સુરત અભિયાનાં પાણીની બોટલ વેચતી સંસ્થાઓ પણ આગળ આવી છે. બોટલ રીસાયકલીગ માટે ગ્રાહકો પાણીની બોટલ પાછી આપે તો તેમને ૫૦ પૈસાથી એક રૃપિયો સુધીની રકમ પરત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે આગામી દિવસોમાં સુરતના રસ્તા પર પાણીની બોટલ દેખાતી ઓછી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગે પ્લાસ્ટીક મુક્ત સુરત માટે ઝુંબેશ શરૃ કરીને હાલ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા માટેની કામગીરી શરૃ કરી છે. આગામી દિવસોમાં મ્યુનિ. તંત્ર ફુડ પેકેજીંગ માટેના કન્ટેનર તથા પાણીની નાની બોટલ અને પ્લાસ્ટીકની તમામ પ્રકારની બેગ પર પ્રતિબંધ મુકવા માટે વિચારણા કરી રહી છે. સુરત શહેરમાં જાહેર રસ્તા પર રખડતી પ્લાસ્ટીકની બોટલનું દુષણ સૌથી વધુ હોવાથી મ્યુનિ. તત્ર માટે આ બોટલ માથાનો દુઃખાવો બની ગઈ હતી. જોકે, સુરતને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના અભિયાન હેઠળ હવે બોટલમા પાણી પેક કરીને વેચતી સંસ્થાઓ આગળ આવી છે.
સુરતમાં પેકેજ ડ્રીન્કીંગ વોટર વેચતી ૩૭ જેટલી સંસ્થા છે તેઓએ ગુજરાત પેકેડ ડ્રીન્કીંગ વોટર મેન્યુફેક્ચર એસો.ના નેજા હેઠળ એક નવું અભિયાન શરૃ કર્યું છે. જેમાં ગ્રાહક પાણીની બોટલ પાછી આપે તો તેને ૫૦ પૈસાથી માંડીને એક રૃપિયા સુધીનું વળતર આપવામા આવશે. પેકડ ડિન્કીંગ વોટર મેન્યુફેરેચરર રાજુભાઈ કહે છે, આમ કરવાથી ગ્રાહકો પાણીની બોટલ રસ્તા પર ફેંકશે નહીં અને તેના કારણે રસ્તા પર બોટલની ગંદકી દેખાશે નહીં.
જોકે, આ માટે કેટલીક શરત એવી છે કે જ્યાંથી ગ્રાહકે પાણીની બોટલ ખરીદી હશે ત્યાં જ આપવાની રહેશે તથા પ્રિન્ટ કરેલી કિંમતે બોટલ ખરીદશે તેને જ આ ઓફર લાગુ પડશે. પ્લાસ્ટીક ફ્રી સુરત માટે પેકડ ડિન્કીંગ વોટર મેન્યુફેરેચર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે અને તેનો અમલ પણ શરૃ થઈ ગયો છે જોકે, તેનો કેવો પ્રતિસાદ મળશે તે આગામી દિવસોમાં ખબર પડશે.