Get The App

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ ગયાનો આક્ષેપ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ ગયાનો આક્ષેપ 1 - image

Congress Mask Distribution In Savarkundla : સાવરકુંડલા શહેરમાં રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને અનેક જગ્યાએ અધૂરા ખોદકામના કામો વિરુદ્ધ સ્થાનિક કોંગ્રેસે આજે શનિવારે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય કાર્યકરો સાથે શહેરના માર્ગો પર નીકળી પડ્યા હતા અને ધૂળથી બચવા માટે રાહદારીઓને માસ્કનું વિતરણ કર્યું હતું.

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ ગયાનો આક્ષેપ 2 - image

કોંગ્રેસનો આક્ષેપ: 'અધિકારીઓ કામ કરતા નથી'

કોંગ્રેસના કાર્યકરોનો દાવો છે કે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે અને આ કામો બે-બે મહિના સુધી પૂરા થતા નથી, જેના કારણે આખું શહેર ધૂળિયું બની ગયું છે. કોંગ્રેસનું કહેવું છે કે ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અધિકારીઓને આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી.

વિરોધનો હેતુ

લોકોના સ્વાસ્થ્યને બચાવવાના હેતુથી માસ્ક વિતરણ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેથી ભાજપના સત્તાધીશો જાગે અને ઝડપથી કામગીરી પૂરી થાય.

વિરોધનો ફિયાસ્કો થયો હોવાનો આક્ષેપ

બીજી તરફ, ભાજપ શાસિત સાવરકુંડલા નગરપાલિકા સામેનો કોંગ્રેસના આ વિરોધને 'ફિયાસ્કો' સાબિત થયા હોવાના આક્ષેપ થયા છે. કેમ કે વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના માત્ર 5 થી 7 ગણ્યા ગાંઠ્યા કાર્યકરો જ નીકળ્યા હતા, જેને કારણે તેઓ હાંસીનું પાત્ર બન્યા હતા. એવો પણ આક્ષેપ છે કે શહેરીજનોએ માસ્ક પહેરવાનો ઇનકાર કરતા કોંગ્રેસે માત્ર 10-20 માસ્ક પોતાના જ કાર્યકરોને પહેરાવીને વિરોધ કરવાનો સંતોષ માન્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ

નિયત સમય પર સવાલ

કેટલાકે સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ પાંચ વર્ષ સુધી પાલિકામાં મૌન રહી હતી, તો હવે ચૂંટણી પહેલાં જ 'રહી રહીને' વિરોધ કરવા કેમ જાગી છે? સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા આ વિરોધે રસ્તા પરની ધૂળની સમસ્યાને રાજકીય અખાડામાં લાવી દીધી છે, જ્યાં વિકાસના મુદ્દાઓ પર હવે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.