કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News: રાજકોટના વોર્ડ નંબર 13માં સ્વામિનારાયણ ચોક ખાતે રસ્તાના સમારકામ (થીગડા)ના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરનો આરોપ છે કે, નવા બનેલા રસ્તા પર મેટલનું કામ યોગ્ય રીતે ન થતાં એક મેટાડોર વાહન અંદર ખૂંપી ગયું હતું, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

શું હતી ઘટના?
સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં ખાડા પડેલા રસ્તામાં થીગડા મારી રોડ સરખો કરવામાં આવ્યો હતો. જોકે, આ થીગડામાં પણ કામની ગુણવત્તા જળવાઈ ન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કારણ કે, નવા બનેલા રોડ પરથી પસાર થતી એક મેટાડોર અચાનક રોડની અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ પર માત્ર ડામરનું પાતળું પડ પાથરવામાં આવ્યું હતું અને નીચે મેટલનું કામ કરવામાં આવ્યું ન હતું.
સ્થાનિકોમાં રોષ
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે શાસકો માત્ર દેખાડા ખાતર કામ કરે છે અને નાગરિકોના પૈસાનો દુરૂપયોગ કરે છે. આ પ્રકારના હલકી ગુણવત્તાના કામોને કારણે ભવિષ્યમાં મોટા અકસ્માત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.









