વડોદરાની એમ.એસ યુનિવર્સિટીને કોમન એક્ટમાંથી અલગ રાખવા કોંગ્રેસની માંગ
Updated: Sep 26th, 2023
વડોદરા, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ વડોદરા સ્ટેટના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની દેન છે આ એક પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થા છે અને તેની સ્વાયતતા તમામ ખાનગી યુનિવર્સિટીઓથી અલગ છે અને તેની ઓળખ પણ અલગ રાખવાની છે. પરંતુ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ યુનિવર્સિટી એક્ટમાં મ.સ. યુનિ.ની વિશ્વવિખ્યાત ઓળખ ભુસાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી જેથી આ યુનિવર્સિટીની આગવી ઓળખ અલગથી રાખવા આજે જિલ્લા કલેકટર કચેરીએ કોંગ્રેસના પ્રમુખ વિરોધ પક્ષના નેતા અને સેનેટ સભ્ય એ આવેદનપત્ર પાઠવીને આ બાબતે ફેરવિચાર કરવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ એસ યુનિવર્સિટી મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની દેન છે. આ યુનિવર્સિટીની આગવી ઓળખ વિશ્વભરમાં છે અને તેની સ્વતંત્ર સ્વાયતતા છે. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓથી મ.સ. યુનિ.ના કેટલાક નિયમો પણ અન્ય શૈક્ષણિક યુનિવર્સિટીઓથી તદ્દન અલગ છે. જેથી આ યુનિવર્સિટીને રાજ્ય સરકારના યુનિવર્સિટી એક્ટ સાથે કોઈપણ સંજોગોમાં સાંકળવી જોઈએ નહીં.
વડોદરાની આપણી આ માતૃસંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્વાયત્તતા કાળો કાયદો આવવાથી ખતમ થઈ જશે.જેથી કોમન યુનિવર્સિટી નો એક્ટ એમએસ યુનિવર્સિટી માટે અમલમાં ન આવે તે માટે લડત જરૂરી છે.કોમન એક્ટ મ.સ.યુની.ના કલેવરને ખતમ કરી નાખશે તેવા આક્ષેપો વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય વિધાનસભામાં કોમન સીટી એક્ટ અંગે બિલ પસાર થઈ ચૂક્યું છે. પરિણામે આ બાબતે ઘટતું કરવા શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર કોઠી કચેરી સ્થિત કલેક્ટર કચેરીએ સુપ્રત કરીને આ બાબતે ઘટતું કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા અમીરાવત અને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે જણાવ્યું હતુ.