કોલેજ પોતાની રીતે ઓફલાઈન પ્રવેશ નહીં જ આપી શકે : સરકારે તમામ યુનિ.ના કુલપતિને કર્યો આદેશ
College Offline Admission : સરકારના જીકાસ પોર્ટલ આધારીત હાલ યુજી અને પીજી કોર્સીસની ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે તેઓનો સંપર્ક કરી પ્રવેશ કન્ફર્મ કરવામા આવશે તેવુ કહેતી હોવાની વાલીઓએ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. જેને પગલે સરકારે તમામ યુનિ.ના કુલપતિને પરિપત્ર કરીને આદેશ કરવો પડ્યો છે કે કોલેજોને આ બાબત ખાસ કડક સૂચના આપવામા આવે કે કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહીં જ થાય અને કોલેજો પોતાની રીતે ઓફલાઈન પ્રવેશ નહીં જ આપી શકે.
વાલીઓની ફરિયાદ સામે સરકારે કહ્યું ગેરમાર્ગે ન દોરો
સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર દ્વારા જીકાસ પોર્ટલમાં જોડાયેલી રાજ્યની તમામ 15 સરકારી યુનિ.ઓના કુલપતિને પરિપત્ર કરીને જણાવ્યું છે કે જીકાસ સેલમાં વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા ફોન કરીને રજૂઆત કરવામા આવી છે કે કેટલીક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એમ કહીને ગેરમાર્ગે દોરવામા આવી રહ્યા છે કે તેઓએ હાલ કંઈ જ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો: સરકારની સૂચનાથી જીપીસીબીએ સુરત ડાયમંડ બુર્સ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી
જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે કોલેજ દ્વારા તેઓનો સંપર્ક કરીને પ્રવેશ કન્ફર્મ કરવામા આવશે. આ વર્ષે સરકાર દ્વારા પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા જીકાસ પોર્ટલ આધારીત જ કરવામા આવી રહી છે.જેથી યુનિવર્સિટી સંલગ્ન યુજી અને પીજી તેમજ બી.એડ તથા એલએલબી કે અન્ય કોર્સ ચલાવતી કોઈ પણ કોલેજ દ્વારા આ પ્રકારે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિ ન થાય તે ખાસ ઘ્યાન રાખવામા આવે અને સુનિશ્ચિત કરવામા આવે.
યુનિ.ઓના કુલપતિને સરકારે આદેશ કરતા જણાવ્યું છે કે યુનિ.સંલગ્ન તમામ કોલેજો અને ફેકલ્ટીઓને સૂચના આપવામા આવે કે વર્ષ 2025-26માં સંપૂર્ણ પ્રવેશ પ્રક્રયા માત્ર જીકાસ પોર્ટલ મારફતે જ થશે અને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન નહીં થાય.જો કે બીજી બાજુ ઘણા વિદ્યાર્થીઓ-વાલીઓ પણ સારી ટોપ કોલેજોમાં પ્રવેશ મળશે તેવી રાહ જોઈને બેઠા છે.
આ વર્ષે સરકાર દ્વારા ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેરિટ અને પ્રવેશ ફાળવણી સીસ્ટમ ડિસેન્ટ્રલાઈઝડ રાખી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને આ વર્ષે એકથી વધુ કોલેજ-કોર્સમાં પ્રવેશની ઓફર તેઓના મેરિટ મુજબ આપવામાં આવી રહી છે.