સિવિલ હોસ્પિટલે અમદાવાદ પ્લેન ક્રેશમાં પ્રિયજનોને ગુમાવનારા પરિવારોને સાઈબર ફ્રોડ અંગે ચેતવ્યાં
Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરૂવારે (12 જૂન) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ મૃતકોનો પરિવાર છેલ્લાં ત્રણ દિવસથી પોતાના સ્વજનોના મૃતદેહ લેવા માટે પહોંચી રહ્યા છે. જોકે, સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકોના ડીએનએ મેચ થયા બાદ જ પાર્થિવદેહ સોંપવામાં આવશે. એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, અત્યાર સુધીમાં 31 મૃતકો ડીએનએ મેચ થઈ ચુક્યા છે અને 12 મૃતદેહોની સોંપણી થઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પણ ડીએનએ મેચ થઈ ચુક્યા છે.
સિવિલ હોસ્પિટલ તરફથી ફોન કરવામાં આવશે
જોકે, સમગ્ર ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલે કહ્યું કે, ડીએનએ મેચ થશે એટલે હોસ્પિટલ તરફથી ફોન કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના સંપર્ક સિવાય કોઈપણ માહિતી પર વિશ્વાસ ન કરવો. આ સિવાય આવી નાજૂક પરિસ્થિતિમાં સાયબર ફ્રોડના કિસ્સામાં પણ લોકોએ સતર્ક રહેવું.
હોસ્પિટલ એકપણ પૈસો માંગતી નથી, તેથી સાયબર ફ્રોડથી બચવું
વધુમાં સિવિલ હોસ્પિટલે જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયામાં હોસ્પિટલ દ્વારા કોઈપણ નાણાંકીય વસૂલાત કરવામાં નથી આવતી, તેથી તમારી પાસે જો કોઈ પૈસા માંગે છે તો તેનાથી ચેતજો કારણ કે, તે સાયબર ફ્રોડ હોય શકે છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash LIVE: પૂર્વ CM વિજય રૂપાણીના DNA સેમ્પલ મેચ થયા : હર્ષ સંઘવી
હાલ, સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોને સોંપવાને લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વાહનથી લઈને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના પરિસરમાં 190થી વધુ એમ્બ્યુલન્સ ખડકી દેવાઈ છે, આ સિવાય 500થી વધુ ડૉક્ટર અને ડ્રાઇવરનો સ્ટાફ પણ ખડેપગે છે. આ સિવાય અન્ય દેશના નાગરિકોના પાર્થિવદેહને તેમના દેશમાં પહોંચાડવા માટે પણ વિનામૂલ્યે વિમાન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.