અમદાવાદ પ્લેન ક્રેશ: વિસનગરના દંપતીનો મૃતદેહ વતન પહોંચતાં માહોલ ગમગીન, અંતિમ યાત્રા નીકળી
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 278ને સ્પર્શી ગયો છે. ત્યારે આજે 31 જેટલા ડીએનએ મેચ થયા બાદ 12 જેટલા મૃતદેહો તેમના પરિજનોને સોંપી દેવાયા હતા. ત્યારે વિસનગરના દિનેશ પટેલ અને ક્રિષ્નાબેન પટેલનો મૃતદેહ પણ તેમના પ્રિયજનો લઈ ગયા હતા. ત્યારે રવિવારે (15મી જૂન) પોલીસ બંદોબસ્ત સાથે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. નોંધનીય છે કે, વિસનગરના પાંચ લોકો 12મી જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જેમાંથી બેના પાર્થિવ દેહ વતન લાવી દેવામાં આવ્યા છે. ડીએનએ મેચિંગની પ્રોસેસ હજુ ચાલી રહી છે.
DNA સેમ્પલ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા
અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિસનગરના એક જ ગામના દિનેશ પટેલ, ક્રિષ્નાબેન પટેલ, દશરથ પટેલ, ડાહીબેન પટેલના મૃતદેહ સોંપાયા છે. વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પણ મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમદાવાદના સુભાષચંદ્ર અમીનના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. શનિવારે દિવસ દરમિયાન ત્રણ મૃતદેહ પરિવારને સોંપાયા હતા. નિકોલના વૃદ્ધ દંપતિ બાબુભાઈ હીરપરા, વિમલાબેન હરીપરાનો મૃતદેહ પણ તેમના પરિજનને સોંપાયો હતો. DNA સેમ્પલ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી થઇ રહી છે.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલે પ્લેન ક્રેશના મૃતકોના પરિજનોને કર્યા સાવચેત
કાટમાળ દૂર કરતા મળ્યો યુવતી સહિત 3 મૃતદેહ મળ્યાં
એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતુ વિમાન તૂટી પડ્યા બાદ છેલ્લાં બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે (14મી જૂન) મેસ પર વિમાનની ટેલના ભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી દરમિયાન એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કટરની મદદથી લોખંડ દ્વારા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર અને હોસ્ટેસનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતકની ઓળખ કરવા માટે ક્રુ- મેમ્બર્સના પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં સ્થળ પરથી મળી ડીએનએ સિવાય સ્થળ ઉપરથી મળી આવેલી ચીજ વસ્તુઓના આધારે ઓળખ કરવામાં આવશે. આ સિવાય મેશની અગાસી પર ફેલાયેલા કાટમાળમાંથી વધુ બે મૃતદેહો ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 278 પહોંચ્યો છે. જોકે, હજુ અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.